Tuesday, 6 September 2022

બાગમાં ફરવા ગયાં'તા કે નિધિબેન લપસી પડ્યા! બાગની મુલાકાત, કન્યા શાળા નં.28, બાકરોલ આણંદ.

           મેડમ !!  ક્યારેબાગમાંજવાનુંછે ?

        આજે તો સવારથી જ બાળકો બાગમાં જવાનાં મૂડમાં હતાં. આખો દિવસ પૂછ પૂછ કર્યાં કરે. મેડમ , કેટલા વાગે જવાનું છે ? ચાલોને જલ્દી જઇએ ? 


      ચાલો બાળકો ! હારબંધ ગોઠવાઈ જાઓ. 
 એકસાથે બઘું જ ટોળું બહાર! લાઈન ક્યાં?? અહીં તો આજે ધક્કા મુક્કી જ તો !!! 

          સુમિત્રાબેન, મનીષાબેન, રીટાબેન, સંગીતાબેન અને જાગૃતિબેન બાળકોને ગોઠવી અને બાગમાં જવાની લાઈન ગોઠવી દીધી. બાળકો બે બે ના ગ્રુપમાં હાથ પકડીને ગીતો ગાતાં ગાતાં દોડતાં દોડતાં ઉપાડી અમારી છૂક છૂક ગાડી !!!


       બાળકોને બાગમાં જવાની ખૂબ મજા આવી. ત્યાં જઇને બાળકો ખૂબ રમ્યા. શિક્ષકો પણ ખૂબ રમ્યાં. સરસ ખુલ્લા મેદાનમાં બાળકોને રમવાની મજા પડી ગઈ. મન મૂકીને રમ્યાં. ત્યાં ઍક સુંદર મજાની ગણપતિ દાદાની મૂર્તિ પણ હતી. બાળકોએ ત્યાં દર્શન કર્યા.


      આ રીતે બાળકોને બાગમાં રમવાની મજા આવી. બાળકોને શાળામાં લઇને આવ્યા અને નાસ્તો પાણી આપ્યાં.

ના મેડમ , હું નહીં આવું! 😢 સરકારી દવાખાનું મુલાકાત: શાળા નં. 28, કન્યા શાળા બાકરોલ આણંદ.

    દવાખાનાનું નામસાંભળતાજ જીયા જોરજોરથી રડવા 😥 લાગી. ના મેડમ મારે ઇન્જેક્શનનથીમુકાવવું !!!!

      દીકરીઓને સમજાવ્યા કે બેટા આપણે દવાખાને મુલાકાત લેવા જવાનું છે. 

    બાળકોને હારબંધ લઈ ગયા બાદ વારાફરથી લઈ ગયાં. કેસ ક્યાં કઢાવવાનો, waiting રૂમ, ડોક્ટરની કેબિન તથા દવા લેવા માટેની બારી. બઘું જ બાળકોને બતાવ્યું. 

         ત્યાં ડોક્ટર તથા અન્ય નર્સ બધાંએ બાળકોને ખૂબ જ સારી રીતે સમજ આપી. ડોકટરે બાળકોને કેવી રીતે તંદુરસ્તીનું ધ્યાન રાખવાનું, તેની સમજ આપી. બાળકોએ પણ ડોક્ટરને ઘણાં પ્રશ્નો પૂછ્યા. બધાંને શાંતિથી સમજ આપી. 


        અહીં પણ બધાં જ બાળકોને ચોકલેટ આપી. જ્યારે બાળકો દવાખાને આવ્યા ત્યારે તેઓનો ચહેરો રડમસ હતો પરંતું બહાર નીકળતી વખતે દરેક બાળકના ચહેરા પર આનંદ જણાયો. બાળકોને લઇને શાળાએ ગયાં.

મેડમ, સનાને ચોપડી જોઈએ છે! 📚 " પુસ્તકાલય મુલાકાત: શાળા નં.28, કન્યા શાળા બાકરોલ આણંદ.

        પુસ્તકાલયમુલાકાત : ન.પ્રા.શાળાનં. ૨૮, કન્યા શાળા બાકરોલ, આણંદ.

        અમારી શાળામાંથી ધોરણ : ૧ થી ૫ ના બાળકોને અમે સૌ શિક્ષકો નજીકની સરકારી પુસ્તકાલયની મુલાકાતે લઈ ગયા હતા. બાળકોને અગાઉથી જાણ કરવામાં આવી હતી. આજે બાળકો ખુશ હતાં. એમાંના ઘણા બાળકોએ કદી પણ પુસ્તકાલય જોયું ન હતું. બાળકોને હારબંધ લઈ ગયા. સુમિત્રાબેને તમામ બાળકોને જરુરી સૂચનો આપી દીધાં હતાં. 

બાળકો તો પુસ્તકાલય જોઈને ખુશ ખુશ થઈ ગયા હતા. આટલું મોટું પુસ્તકાલય !! આટલાં બધાં પુસ્તકો !!! બાળકો પુસ્તકાલયની શાંતિ જોઈને પ્રસન્ન થયા. મનની શાંતિ  જણાઈ. 

     ત્યાં પુસ્તકાલયમાં અલગ અલગ વિભાગોનો પરિચય ત્યાંના વ્યવસ્થાપક શ્રીદિનેશભાઈએ આપ્યો. પુસ્તકાલયમાં વાંચન માટે, પેપર માટે, પુસ્તકોની આપ લે માટે, તથા અલગ અલગ મેગેઝિન માટે અલગ અલગ રૂમો હતી. ત્યાં બાળ સાહિત્યો પણ ઘણાં હતાં. બાળકોને ત્યાં બાળ વિભાગમાં ટેબલ ખુરસી પર બેસીને વાંચવાની ખૂબ મઝા આવી.

       પુસ્તકાલય આપ લે વિભાગમાં તમામ પ્રકારના પુસ્તકો જોયાં. જેમાં અંગ્રેજી, હિંદી અને ગુજરાતી ભાષામાં પુસ્તકો હતાં. જેમાં ધાર્મિક પુસ્તકો, અવનવું, નવલકથાઓ, ટુંકીવાર્તાઓ, અને મહાગ્રંથો હતાં. ત્યાં પુસ્તક લેવાં માટે કેવી રીતે પ્રક્રિયા કરવાની હોય છે તે દિનેશભાઈએ સમજાવ્યું.

     અંતે તમામ બાળકોને ત્યાંથી ચોકલેટ આપી અને શાળાએ જવાની લાઈન ગોઠવી દીધી.

   અંતે,,,, અમારી દીકરી સના બોલી, મેડમ જવાનું ? મેડમે હા પાડી. પછી સના તેનાં મિત્રો સાથે ગણગણાટ કરવા લાગી. ટીચરે પૂછયું, શું થયું ? તો રુહી બોલી, "મેડમ સનાને ચોપડી જોઈએ છે." ચોપડી લીધાં વિના સના ત્યાંથી ભારે પગલે ચાલી. બીજે દિવસે મેં સનાને શાળાના પુસ્તકાલય માંથી બાલવાર્તાની ચોપડી અને બાળ પ્રકાશ આપ્યું. સનાના ચહેરા પર આનંદ આનંદ છવાઈ ગયો.
    
        


       
          

Sunday, 14 August 2022

નાની મારી વાત : 50, 🇮🇳સ્વાતંત્ર્ય દિન.🇮🇳 આઝાદી કા અમૃત મહોત્સવ.

           મિત્રો, આજે જ્યારે આખો દેશ એકયાબીજી રીતે  આઝાદીના75 વર્ષનીઉજવણી કરે છે ત્યારે મને પણ આપસૌ મિત્રોને જણાવતા આનંદ થાય છે કે... આજનાં દિને આ મારી 75મી રચના છે જેમાં ( 50 બાલવાર્તાઓ અને 25 બાળગીતો)  થયાં છે.



         કિશન દોડતો આવ્યો અને કનૈયાને કહેવા લાગ્યો, " ભાઈ જો ને આ મારો તિરંગો ! મારે કલર કેમ બહાર નીકળી જાય છે? ટીચરે કહયું છે કે કલર બહાર ન નીકળે તે રીતે જ તિરંગો દોરવો. મને તારા જેવા સરસ કલર પૂરતાં શીખવ ને. " 


              કનૈયો પણ સરસ મજાનું ઘર અને તેના ઉપર તિરંગો, ઉપર ખુલ્લુ આકાશ, ઘર પાસે ખુલ્લું ખેતર અને ખેતરમાં ઘણાં બધાં ઝાડ - આવું ચિત્ર દોરતો હતો. કિશન અને કનૈયો બંને ભાઈઓ હતા. કનૈયો મોટો અને કિશન નાનો. કનૈયાએ પોતાનું ચિત્ર પૂરું કરીને કિશનને રંગો પૂરતાં શીખવ્યું. 


       કનૈયાએ સૌ પ્રથમ આખા ચિત્રની બોર્ડર પર કલરો પૂરી દીધા જેથી કરીને દિવાલ જાડી થઈ ગઈ અને કહ્યું હવે અંદર શાંતિથી રંગો ભર. આ રીતે રંગો પૂરતાં સહેજ પણ કલર બહાર ન નીકળ્યા અને ચિત્ર ખૂબ જ સુંદર લાગ્યુ. કિશન ખુશ ખુશ થઈ ગયો. 


       કનૈયો તેના ચિત્રમાં રંગો પૂરતો હતો અને બંને ભાઈઓ વાતો કરતા હતા. કિશન પહેલા ધોરણમાં અભ્યાસ કરતો હતો અને કનૈયો પાંચમા ધોરણમાં. 

         કિશને પૂછયું, " ભાઈ દર વર્ષે આપણી શાળામાં સ્વાતંત્ર્ય દિનની  આટલી બધી તૈયારીઓ થાય છે?  "


         કનૈયાએ કહ્યું દર વર્ષે આગલા દિવસે અમે સ્વતંત્ર દિવસની ઉજવણીની તૈયારીઓ કરીએ છીએ પરંતુ આ વર્ષે આપણા દેશને આઝાદી મળે ૭૫ વર્ષ પૂરાં થયાં છે માટે એની ઉજવણીના ભાગરૂપે આખુ વર્ષ નાના મોટા કાર્યક્રમો યોજાયા હતાં અને આ છેલ્લું અઠવાડિયું આપણી શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું." 


        કિશને પૂછયું, " ભાઈ મને તો આખુ અઠવાડિયું શાળામાં ખૂબ જ મજા પડી. મને આપણા દેશની આઝાદીની વાતો કરને? ગઈકાલે અમારા ટીચરે અમને થોડી વાતો કરી હતી. થોડી વધારે વાતો કરને ! અમને અમારા ટીચરે સ્વાતંત્ર્ય દિન વિષે લખવાનું પણ કહ્યું છે." 


       જો સાંભળ, કનૈયાએ વાત શરૂ કરી.

       " ભારત દેશના સ્વતંત્રતા દિવસ તરીકે ૧૫મી ઓગસ્ટના દિવસને ઉજવવામાં આવે છે. ઇ.સ. ૧૯૪૭નાં વર્ષમાં આ દિવસે અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશ આઝાદ થયો હતો, આથી આઝાદીની લડતમાં સફળતા મળી અને સ્વતંત્રતા હાંસલ કરી તેની ખુશીમાં દર વર્ષે સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસને ભારતભરમાં રાષ્ટ્રીય તહેવાર તરીકે જાહેર કરવામાં આવેલો છે. દેશનાં તમામ કાર્યાલયોમાં આ દિવસે જાહેર રજા આપવામાં આવે છે. આખા દેશમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ (રાજ્ય સરકારો, જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતો) દ્વારા ધ્વજ વંદનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. મુખ્ય સમારંભ નવી દિલ્હીમાં ઉજવવામાં આવે છે જેમાં ભારતના વડાપ્રધાન લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવે છે અને પ્રજાજોગ સંદેશ આપે છે, જેનું ટેલિવિઝન પર જીવંત પ્રસારણ કરવામાં આવે છે. આ સંદેશામાં તેઓ સરકારની પાછલા વર્ષની સિદ્ધિઓ વર્ણવે છે, મહત્ત્વનાં મુદ્દાઓ જણાવે છે અને વધુ પ્રગતિ તથા વિકાસ માટે દેશને પડકાર કરે છે. વડા પ્રધાન આઝાદીની ચળવળનાં નેતાઓને શહિદોને શ્રદ્ધાંજલિ આપે છે અને સ્વાતંત્ર્ય સેનાનિઓને યાદ કરે છે. ભારતની સાંસ્કૃતિક વિવિધતાનું પ્રદર્શન, વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે દેશે કરેલી પ્રગતિ વિગેરેની ઝાંખી, ભારતની શસ્ત્ર તાકાતનું નિદર્શન અને દેશના સુરક્ષા દળોની પરેડ આ ઉજવણીનું અભિન્ન અંગ છે. 


      અને આ રીતે આ વર્ષે ૧૫ ઓગષ્ટ ૨૦૨૨માં આપણાં દેશને આઝાદી મળ્યે ૭૫ વર્ષ પૂરાં થયાં. જેને ' આઝાદી કા અમૃત મહોત્સવ ' નામથી આપણે સૌ ઊજવણી કરીએ છીએ. આ વર્ષે આપણાં વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દિલ્હીમાં લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે. 



       આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે આ વર્ષે 'હર ઘર તિરંગા ' નું સૂત્ર આપવામા આવ્યું છે માટે સમગ્ર દેશમાં ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરેેકેદરેક ઘર પર તિરંગો ફરકશે. અને માટે જ આખા દેશમાં ખૂબ જ ધામધૂમથી આજનો દિવસ ઉજવાશે." 


      કિશન આ બધી વાતો સાંભળી ખુશ ખુશ થઈ ગયો અને કહેવા લાગ્યો, " આપણો આખો દેશ તિરંગાથી કેટલો સરસ દેખાશે ! આપણે છેક ઉપર આકાશ માંથી જોઈએ તો કેવી મઝા પડે! "


      બંને ભાઈઓ આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી માટે ખૂબ જ આતુર અને ઉત્સાહિત હતાં. દાદાજીએ કહેલી, શાળામાં ટીચરે કહેલી અને મમ્મી પપ્પાએ કહેલી બધી જ વાતો કનૈયાએ કિશનને કહી. બંનેએ ખૂબ વાતો કરી અને જશોદા બહેને ( કિશન - કનૈયાની મમ્મી એ ) જમવા માટે બૂમ પાડી. બંને ભાઈઓ જમવા દોડી ગયા. 


                   જય હિંદ - જય ભારત

                    ભારત માતા કી જય

                           વંદે માતરમ્.


                                                    જાગૃતિ પંડ્યા,

                                                              આણંદ.


        

Monday, 8 August 2022

નાની મારી વાત : ૪૬ / મહોરમનો મહિમા.


    નાની મારી વાત : ૪૬  / મહોરમનો મહિમા.

               રોનક ક્યારનોય તેનાં મિત્રોની રાહ જોઈને બેઠો છે. થોડીવાર પછી મિતુલ આવ્યો. બંન્ને વાતો કરતા હતા અને આબન, હૈદર, બાસિમ અને ફાખિર આવે પછી ક્રિકેટ રમવાનું નક્કી કર્યું. રોનક અને મિતુલ નવાં બનેલાં રાષ્ટ્રપતિ શ્રીમતિ દ્રૌપદી મૂરમુ વિષે વાતો કરતા હતા. એમાં કલાક જેટલો સમય પસાર થઈ ગયો. અચાનક રોનકની નજર ઘડિયાળ ઉપર પડી. અરે મિતુલ, છ વાગવા આવ્યા ને ? હજુ સુધી આબન, હૈદર, બાસિમ અને ફાખિર કેમ આવ્યા નથી ? વિચારવા લાગ્યા. મિતુલ બોલ્યો ચાલ આપણે બધાને ઘરે જઈને બોલાવી લાવીએ. રોનક અને મિતુલ ચાલવા લાગ્યા. બહાર રોડ ઉપર પહોંચ્યા ત્યાં જ તાજીયા નીકળેલા જોયા. તજીયાને સુંદર રીતે શણગારેલા હતાં. આગળ પાછળ બધાં લોકો ખૂબ જ જુસ્સાથી છાતી પિટતા અને તલવાર તથા બ્લેડ વતી પોતાનાં શરીર પર મારતાં હતાં. રોનક અને મિતુલ તો ત્યાં જ અટકી ગયા. બંનેને આ બધી નવાઈ લાગી. થોડી જ વારમાં તેમનાં મિત્રો પણ દેખાયા. રોનક અને મિતુલ આબન અને હૈદર પાસે ગયાં. પાછળ થી બાસિમ અને ફાખિરે દોડતાં આવીને રોનક અને મિતુલને પીઠ પર જોરથી ધબ્બો મારી આવકાર્યા. બધાં મિત્રો એકબીજાને મળીને ખુશ ખુશ થઈ ગયા.


       મિતુલે આબનને પૂછયું, " આબન આ તમારો કયો તહેવાર કહેવાય ? આ તહેવારનું શું નામ અને શું મહત્ત્વ છે ? આ તાજીયાનું ઝુલુસ  કેમ કાઢવામાં આવ્યું છે ? અમને જણાવને ?"  આબન કહે, " આ તહેવારનું નામ મહોરમ છે." આ તહેવાર વિષે તને મારાથી પણ વધારે સારી માહિતી હૈદર આપશે. કારણકે હૈદરના દાદા તેને બધાં જ તહેવારોની સરસ મજાની વાતો અને તેનું મહત્ત્વ સમજાવે છે તો મહોરમ વિષે હૈદર સમજ આપશે."બધાં મિત્રો તાજિયામાં જોડાયા. ચાલતાં ચાલતાં વાતો કરતાં ચાલ્યાં જાય છે.


     હૈદરે  મહોરમનું મહત્ત્વ સમજાવતાં કહ્યું, " સાંભળો મિત્રો મારા દાદાએ મને જે વાત કરી છે તે હું તમને કહું છું." 


      મોહરમ ઈસ્લામી વર્ષનો પ્રથમ મહિનો છે જે ચંદ્રના હિસાબથી ચાલે છે. ઈસ્લામી વર્ષનો આ મહિનો દુનિયાભરના મુસ્લિમો માટે ઐતિહાસિક રૂપે ખૂબ મહત્વપૂર્ણ છે.આજથી લગભગ 1400 વર્ષ પહેલાની વાત છે સન 61 હિઝરીના મોહરમનો મહિનો હતો.. જ્યારે મોહમ્મદ સ.અ.વ ના દૌહિત્ર (નવાસા) ઈમામ હુસૈનને તેમના 72 સાથીયો સાથે ખૂબ જ નિર્દયતાપૂર્વક કર્બલા ઈરાકના બયાબાનમાં જુલમી યજીદી ફૌજે શહીદ કર્યા હતા. 


ઈમામ હુસૈનની શહાદતની યાદમાં મોહરમ મનાવવામાં આવે છે. આ કોઈ તહેવાર નથી પણ માતમ(શોક)નો દિવસ છે.

   

     દેશભરમાં મુસ્લિમ મોહરમ ઈસ્લામ ધર્મના નવા વર્ષની શરૂઆત છે પરંતુ સાથે સાથે તેના 10માં દિવસે હજરત ઈમામ હુસૈનની યાદમાં મુસ્લિમો માતમ મનાવે છે. 10માં મોહરમના દિવસે જ ઈસ્લામની રક્ષા માટે હજરત ઈમામ હુસૈને પોતાના પ્રાણનો ત્યાગ કર્યો હતો. 



    ઈસ્લામિક માન્યતાઓ મુજબ ઈરાકમાં યદીઝ નામનો એક ક્રુર વ્યક્તિ રહેતો હતો. જે માણસાઈનો દુશ્મન હતો. કહેવાય છે કે યદીઝ પોતાની જાતને શહેનશાહ માનતો હતો અને ખુદા પર વિશ્વાસ કરતો નહતો. તેની ઈચ્છા હતી કે હજરત ઈમામ હુસૈન તેના જૂથમાં સામેલ થઈ જાય. પરંતુ તેમને એ જરાય મંજૂર નહતું. ત્યારબાદ યદીઝના ફેલાઈ રહેલા પ્રકોપને રોકવા માટે હજરત સાહેબે તેના વિરુદ્ધ યુદ્ધ છેડી નાખ્યું. પેગંબર એ ઈસ્લામ હજરત મોહમ્મદના પૌત્ર હજરત ઈમામ હુસૈનને કરબલામાં પરિવાર અને તમામ અઝીઝ મિત્રો સાથે શહીદ કરી નાખ્યાં. 


મોહરમ માતમ મનાવવાનો અને ધર્મની રક્ષા કરનારા હજરત ઈમામની યાદમાં મનાવવામાં આવતો તહેવાર છે. મોહરમના મહિનામાં મુસ્લિમ સમુદાયના લોકો આ મહિનામાં તે લગ્ન પણ નથી કરતા અને બીજી બધી ખુશી નાં તેહવાર અને બધી ખુશી ત્યાગ કરી દે છે.અને કાળા કપડાં પહેરીને મજલીસ માતમ ગીરિયા કરી ને શોક મનાવે છે.



મોહરમના દિવસે તાજીયા કાઢવાનું વિશેષ મહત્વ હોય છે. તજિયાને ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવે છે.

               



     રોનક અને મિતુલ મહોરમનું મહત્ત્વ સાંભળી ખુશ થયાં સાથે સાથે દુઃખી પણ.  થોડી ઘણી વાતો અને આગલા દિવસનો ક્રિકેટ રમવાનો પ્લાન બનાવી  સૌ મિત્રો છૂટા પડ્યાં. જતાં જતાં ફાખિરે રોનક અને મિતુલનો આભાર માન્યો. રોનક કહે મિત્ર એમાં શેનો આભાર! આપણે સૌ એક જ છીએ. તમે લોકો પણ અમારાં તહેવારોની ઉજવણીમાં અમારી સાથે જોડાઓ છો ને!  આપણો સૌનો એક જ ધર્મ અને તે છે માનવ ધર્મ. આપણે બધાં એક જ પિતાના સંતાનો છીએ. આપણો દેશ બિનસાંપ્રદાયિક છે. બધાં જ ધર્મો એક સમાન. દરેકે દરેક ધર્મનું માન રાખીને રહેવું જોઈએ. 


      

         આજે રોનકે અને મિતુલે કંઇક નવું જાણ્યાનો આનંદ હતો. સૌ મિત્રો એકબીજાને ' શુભરાત્રી ' કહી છૂટા પડ્યાં.


            

                              જાગૃતિ પંડ્યા,

                                     આણંદ.

Wednesday, 27 July 2022

પિનલ કેમ ધ્રુસકે ધ્રુસકે રડતી હતી ?



        આજે ધોરણ : 5 માં આસપાસમાં એકમ - 3 , સ્વાદથી પાચન સુધી શીખવતી વખતે, એક એવી ચર્ચા/પ્રશ્નોત્તરી આવે છે કે ' તમારાં દાદા દાદી ને ઘરે જઈને પૂછજો કે, તેઓ તમારી ઉંમરનાં હતાં ત્યારે શું ખાતા હતા અને શું કામ કરતાં હતાં.' બાળકોને આ એકમમાં સ્વસ્થ રહેવા માટે સ્વસ્થ ખોરાક લેવો જોઈએ તે સમજાવ્યું. અને બાળકોને ઘરે જઈને અન્ય કઈ કઈ પ્રવૃત્તિ કરવાની છે તે સમજાવ્યું.


            અચાનક જ જીયા બોલી, " બેન આ પિનલ રડે છે.' મને થયું કે આજુબાજુ છોકરીઓ સાથે ઝગડી હશે, કાંતો કોઈએ માર્યું હશે. પાઠ શીખવતી હતી ત્યારે જ આવી ફરિયાદ સાંભળી એકદમ તો મનમાં થયું આ બાળકોને બસ આખો દિવસ ઝગડવાનું અને ભણતી વખતે પણ ફરિયાદો જ કરવાની એ સિવાય કંઈ બીજુ સુઝતું જ નથી. પણ આજે જ સવારે બધાંની જગ્યા બદલાવી છે. પિનલ પાસે આજુબાજુ જે બેસે છે તે બધી જ શાંત છે. તો થયુ કે પૂછી લઉં શું થયું. પાઠ તો કાલે પણ પૂરો થશે. પણ આ પિનલ આટલું બધું કેમ રડે છે!


          પિનલ ને મારી પાસે બોલાવી. ઘણી બધી વાર બોલાવી પછી આવી. મેં પૂછ્યું, " બોલ બેટા , શું થયું ? કેમ રડે છે ? કોણે માર્યું?" પિનલે કંઈ જ જવાબ ન આપ્યો. ફરી મેં પૂછ્યું, " કોઈએ માર્યું? " પિનલે ના પાડી. તો મેં કહ્યું તો પછી શું થયું ? જલ્દી બોલ. પિનલ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી અને સાથે સાથે ડૂસકાં ભરતી ભરતી બોલવા લાગી. તેનાથી બરાબર બોલી પણ શકાતું નહોતું. તે ડૂસકાં ભરતી ભરતી બોલતી હતી બરાબર બોલતું ન હતું જેથી બધી છોકરીઓ હસવા લાગી. મેં દીકરીઓને આવુ ન કરવાં કહયું. 


                "  બોલ બેટા" , મેં કહ્યું. પિનલ ડૂસકાં ભરતી બોલી, બેન મારે દાદા નથી! 


   " અરે !!! એટલે તું રડે છે ? " 

       પિનલ બોલી , " હા ! અને કહેવા લાગી , મારા દાદા નથી તો કોને પૂછીશ કે તમે અમારી ઉંમરનાં હતાં ત્યારે કેવો ખોરાક લેતા હતા?"


     મેં કહ્યું, "  દાદી છે ને ? દાદી ને પૂછવાનું." 


     મેં પૂછ્યું, " તારા દાદા તે જોયા હતા ?" પિનલે હા પાડી. મને તારા દાદા ખૂબ જ ગમતાં હતાં.


    મેં કહ્યું, " ઉંમર થાય એટલે બધાંને ભગવાનને ઘરે જવું જ પડે. આ પૃથ્વી પર કોઈ કાયમ નથી રહેવાનું." 


     "હવે રડીશ નહીં. દાદા માટે પ્રાર્થના કરજે. જો મેં તો મારા દાદાને જોયા પણ નથી. હું શું કરું ? તુ તો નસીબદાર છે તને દાદા જોવા મળ્યાં." મેં કહ્યું.


    આ સાંભળી બીજી ઘણી બધી છોકરીઓ બોલી ઉઠી, " એમાં શું રડવાનું ! અમે તો અમારા દાદા જોયા પણ નથી! મેડમ અમે પણ અમારા દાદા નથી જોયા."



       અને , વાત આગળ ચાલી છેક મારા દાદા પૂનમચંદ પંડ્યા. એક સ્વાતંત્ર્ય સેનાની. 


     મેં મારી દીકરીઓને મારા દાદાની વાત કરી. મારા દાદાએ દેશને ગુલામી માંથી મુકત કરવા અને અંગ્રેજોની ગુલામી માંથી બહાર કાઢવા કેટલાં બધાં સત્યાગ્રહો કર્યાં હતાં. અંગ્રેજોનો જુલમ કેવો હતો.


    મારા દાદાને જેલની સજા કેમ થઈ? કેવી સજા તેઓ જેલમાં ભોગવતા હતા. જેલમાં કેવું જમવાનું મળતું હતું. અને મારા દાદાનું જેલમાં કેવી રીતે અને કયા કારણોથી મૃત્યુ થયું હતું તે બધી જ વાત દીકરીઓને કરી.


      મારા દાદાની સ્વતંત્ર સંગ્રામની, અંગ્રેજોની અને જેલના જીવનની વાતો સાંભળી હવે ફકત પિનલ જ નહી હવે આખો કલાસ રડવા લાગ્યો. "દાદાનું મૃત્યુ જેલમાં આપવામાં આવતા  સિમેન્ટ મિશ્રિત રોટલા ખાવાથી અસહ્ય પેટના દુખાવાથી થયું હતું" આટલું બોલતાં બોલતાં તો હું પણ ગળગળી થઈ ગઈ હતી.


            મારા દાદા, પિનલના દાદા અને સૌના દાદાને વંદન. 


 જય હિંદ

જય ભારત.

આઝાદી અમર રહો.

Saturday, 23 July 2022

દ્રૌપદી મુર્મુ

દ્રૌપદી મુર્મુ, જેઓ આદિવાસી સમુદાય સાથે સંબંધ ધરાવે છે અને ઓરિસ્સા રાજ્યમાં જન્મ્યા હતા, તેમને તાજેતરમાં જ ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારતના આગામી રાષ્ટ્રપતિના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે અને આ જ કારણ છે કે દ્રૌપદી મુર્મુ આજકાલ ઇન્ટરનેટ પર છવાયેલી છે. મારે જાણવું છે, તો ચાલો આ લેખમાં દ્રૌપદી મુર્મુ વિશે જાણવાનો પ્રયાસ કરીએ. આ લેખમાં અમે તમારી સાથે દ્રૌપદી મુર્મુની બાયોગ્રાફી શેર કરી રહ્યાં છીએ.

તાજેતરમાં, NDA દ્વારા દ્રૌપદી મુર્મુને ભારતના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે રજૂ કરવામાં આવ્યા છે. દ્રૌપદી મુર્મુનો જન્મ વર્ષ 1958માં 20 જૂનના રોજ ભારતના ઓરિસ્સા રાજ્યના મયુરભંજ વિસ્તારમાં એક આદિવાસી પરિવારમાં થયો હતો.

આ રીતે, તે એક આદિવાસી સમુદાયની મહિલા છે અને તેને NDA દ્વારા ભારતના આગામી રાષ્ટ્રપતિના ઉમેદવાર તરીકે રજૂ કરવામાં આવી છે અને આ જ કારણ છે કે આ દિવસોમાં ઇન્ટરનેટ પર દ્રૌપતિ મુર્મુની ખૂબ ચર્ચા થઈ રહી છે.

દ્રૌપદી મુર્મુનું શિક્ષણ । Education of Draupadi Murmu
જ્યારે તેને થોડી સમજ પડી, ત્યારે જ તેના માતાપિતાએ તેને તેના વિસ્તારની એક શાળામાં દાખલ કરાવ્યો, જ્યાં તેણે પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું. આ પછી તેણી ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરવા ભુવનેશ્વર શહેરમાં ગઈ હતી. ભુવનેશ્વર શહેરમાં ગયા પછી, તેણીએ રમા દેવી મહિલા કોલેજમાં પ્રવેશ મેળવ્યો અને રામા દેવી મહિલા કોલેજમાંથી જ તેનું સ્નાતક પૂર્ણ કર્યું.

ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી, તેમને ઓડિશા સરકારમાં વીજળી વિભાગમાં જુનિયર સહાયક તરીકે નોકરી મળી. તેમણે આ નોકરી વર્ષ 1979 થી વર્ષ 1983 સુધી પૂર્ણ કરી. આ પછી, વર્ષ 1994 માં, તેમણે રાયરંગપુરમાં ઓરોબિંદો ઇન્ટિગ્રલ એજ્યુકેશન સેન્ટરમાં શિક્ષક તરીકે કામ કરવાનું શરૂ કર્યું અને આ કામ તેમણે 1997 સુધી કર્યું.

તેમના પિતાનું નામ બિરાંચી નારાયણ ટુડુ છે અને દ્રૌપદી મુર્મુ સંતાલ આદિવાસી પરિવારની છે. દ્રૌપદી મુર્મુ ઝારખંડ રાજ્યની રચના બાદ પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરનાર પ્રથમ મહિલા રાજ્યપાલ છે. તેના પતિનું નામ શ્યામ ચરણ મુર્મુ છે.

દ્રૌપદી મુર્મુનું રાજકીય જીવન । Political Life of Draupadi Murmu
દ્રૌપદી મુર્મુને વર્ષ 2000 થી 2004 દરમિયાન સ્વતંત્ર હવાલો સાથે ઓરિસ્સા સરકારમાં રાજ્ય મંત્રી તરીકે પરિવહન અને વાણિજ્ય વિભાગ સંભાળવાની તક મળી.
તેમણે 2002 થી 2004 દરમિયાન ઓરિસ્સા સરકારના રાજ્યકક્ષાના મંત્રી તરીકે પશુપાલન અને મત્સ્યોદ્યોગ વિભાગ પણ સંભાળ્યું હતું.
2002 થી 2009 સુધી, તે ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય પણ હતા.
તેઓ વર્ષ 2006 થી વર્ષ 2009 સુધી ભારતીય જનતા પાર્ટીના એસટી મોરચાના પ્રદેશ અધ્યક્ષ પદે રહ્યા હતા.


એસટી મોરચાની સાથે, તેઓ વર્ષ 2013 થી વર્ષ 2015 સુધી ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય હતા.
તેમને વર્ષ 2015માં ઝારખંડના ગવર્નરનું પદ મળ્યું અને તે વર્ષ 2021 સુધી આ પદ પર રહ્યા.
દ્રૌપદી મુર્મુ જિલ્લા કાઉન્સિલર 1997માં ચૂંટાયા હતા
તે વર્ષ 1997 માં હતું, જ્યારે તેણી ઓડિશાના રાયરંગપુર જિલ્લામાંથી પ્રથમ વખત જિલ્લા કાઉન્સિલર તરીકે ચૂંટાઈ હતી, તેમજ રાયરંગપુરની ઉપાધ્યક્ષ બની હતી. આ ઉપરાંત તેમને વર્ષ 2002 થી વર્ષ 2009 દરમિયાન મયુરભંજ જિલ્લા ભાજપના પ્રમુખ બનવાની તક પણ મળી હતી. વર્ષ 2004માં તે રાયરંગપુર વિધાનસભામાંથી ધારાસભ્ય બનવામાં પણ સફળ રહી અને વર્ષ 2015માં તેને ઝારખંડ જેવા આદિવાસી બહુલ રાજ્યના રાજ્યપાલનું પદ સંભાળવાની તક પણ મળી.

રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે દ્રૌપદી મુર્મુની જાહેરાત
અત્યાર સુધી ઘણા લોકો દ્રૌપદી મુર્મુ વિશે જાણતા ન હતા, પરંતુ તાજેતરમાં તે ચાર-પાંચ દિવસથી ખૂબ ચર્ચામાં છે. લોકો ઈન્ટરનેટ પર સર્ચ કરી રહ્યા છે કે દ્રૌપદી મુર્મુ કોણ છે, તો જણાવો કે દ્રૌપદી મુર્મુ ઝારખંડની ગવર્નર રહી ચૂકી છે. તેમજ આ એક આદિવાસી મહિલા છે. તેમને તાજેતરમાં જ NDA દ્વારા ભારતના આગામી રાષ્ટ્રપતિના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

આમ, જો દ્રૌપદી મુર્મુ ભારતના રાષ્ટ્રપતિ બનવામાં સફળ થાય છે, તો તે પ્રથમ આદિવાસી મહિલા હશે જે ભારતના રાષ્ટ્રપતિ બનશે, તેમજ બીજી મહિલા હશે જે ભારતના રાષ્ટ્રપતિ પદ સંભાળશે. આ પહેલા પ્રતિભા પાટીલ ભારતના રાષ્ટ્રપતિ પદ પર મહિલા તરીકે બિરાજમાન છે.