Sunday, 18 January 2026

શિક્ષણજગતના તેજસ્વી સિતારા: શ્રી યોગેશકુમાર પંડ્યાની ગૌરવશાળી મજલ

શિક્ષણજગતના તેજસ્વી સિતારા: શ્રી યોગેશકુમાર પંડ્યાની ગૌરવશાળી મજલ


શિક્ષક એ માત્ર પાઠ્યપુસ્તકનો પાઠ ભણાવનાર નથી, પરંતુ વિદ્યાર્થીઓના જીવનમાં સંસ્કાર, શિસ્ત, સ્ફૂર્તિ અને સર્જનાત્મકતાનું બીજ વાવનાર દીવો છે. એવા જ એક દીવાદાંડી સમાન વ્યક્તિત્વ છે — શ્રી યોગેશકુમાર નરેન્દ્રભાઈ પંડ્યા, ઉપશિક્ષક, શ્રી બાંઠીવાડા જૂથ પ્રાથમિક શાળા, મેઘરજ તાલુકાના અરવલ્લી જિલ્લામાં.


"શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ" – આ ઉક્તિને સાર્થક કરતા શ્રી યોગેશ પંડ્યા, એક કર્મઠ શિક્ષકે આજે શિક્ષણ જગતમાં પોતાની વિશિષ્ટ ઓળખ ઊભી કરી છે. 


આપણે વાત કરી રહ્યા છીએ શ્રીબાંઠીવાડા જૂથ પ્રાથમિક શાળાના ઉપશિક્ષક શ્રી યોગેશકુમાર નરેન્દ્રભાઈ પંડ્યા વિશે.

 ° શિક્ષણ, સેવા અને સંસ્કારોનો સેતુ: 

   શ્રી યોગેશ પંડ્યા, એક સ્વાતંત્ર્ય સેનાનીના પૌત્ર. જેમની રગોમાં દેશપ્રેમ અને રાષ્ટ્ર સેવાનું રક્ત દોડી રહ્યું છે. પિતાશ્રી સ્વ. નરેન્દ્રભાઈ પંડ્યા પણ એક શ્રેષ્ઠ શિક્ષક હતા. લોકસેવક હતા. માતા પણ શ્રેષ્ઠ શિક્ષક હતા. માતાના ગર્ભમાંથી જ યોગેશભાઈએ શિક્ષક બનવાના સંસ્કારો કેળવી લીધા હતા કારણકે યોગેશ પંડ્યા જ્યારે માતા હરીશબાળાના ગર્ભમાં હતા ત્યારે માતાએ પ્રાથમિક શિક્ષક તાલીમનો અભ્યાસ મેળવ્યો હતો. માતા પિતા પણ એક આદર્શ શિક્ષક દંપતિ હતા. માતાપિતાએ આજીવન શિક્ષણ અને સેવાના કાર્યો કર્યા છે. યોગેશ પંડ્યાના માતા કે જેઓ સંગીત દ્વારા શિક્ષણના હિમાયતી અને આકાશવાણી કલાકાર હતા. માતાપિતાના સંસ્કારોને સાથે લઈને ચાલનાર શ્રી યોગેશ પંડ્યા માટે આવા સદગુણો સહજ છે. 



 ° ૨૪ વર્ષનું અવિરત જ્ઞાનતપ:- 

     છેલ્લા ૨૪ વર્ષથી શાળામાં શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં સ્થિર રહીને બાળકોના ભવિષ્યને કંડારવું એ આજના સમયમાં ખૂબ જ વિરલ ઘટના છે. શ્રી યોગેશકુમારે બાંઠીવાડા પ્રાથમિક શાળાને માત્ર પોતાની નોકરીનું સ્થળ નહીં, પણ પોતાની કર્મભૂમિ બનાવી છે. ૨૪ વર્ષની આ દીર્ઘકાલીન સેવા દરમિયાન તેમણે હજારો વિદ્યાર્થીઓના જીવનમાં જ્ઞાનનો ઉજાસ પાથર્યો બાળકોનો પ્રેમ જીતીને બાળકોના હૃદય સુધી પહોંચ્યા છે. બાળકોની સાથે ગાવુ, ખાવુ, રમવુ ભણવુ - ભણાવવુ અને શીખવુ - શીખવવું અને બાળદેવો સાથે લીન રહેવું. “ મને જે આવડે છે તે મારા બાળકોને આવડવું જ જોઈએ, જે મને ઓછું ફાવે છે તે પણ હું શીખીને મારા બાળકોને પ્રવીણ બનાવીશ. “ આ વિધાન સાર્થક કરવા સતત મથતાં રહે છે. 


 ° બહુમુખી પ્રતિભાના સ્વામી:- 

કોઈએક વિશિષ્ટ પ્રતિભા સાથે પ્રતિભાશાળી હોવું એ ઈશ્વરની વિશિષ્ટ ભેટ છે જ્યારે બહુમુખી પ્રતિભાના સ્વામી હોવું એ ઈશ્વરની આપણી સાથેની સતત હાજરી છે. 

શ્રી યોગેશભાઈ માત્ર પાઠ્યપુસ્તકો પૂરતા મર્યાદિત શિક્ષક નથી, પણ તેઓ એક સાચા 'કેળવણીકાર' છે. તેમની પ્રતિભાના અનેક પાસાઓ છે: જેમકે, 

રમતગમત અને યોગ: વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે તેઓ હંમેશા કાર્યરત રહે છે.

કલા અને સંગીત: ગીત, સંગીત અને કલાના માધ્યમથી શિક્ષણને રસપ્રદ બનાવવાની તેમની કળા અજોડ છે. બાળકોને સંગીત દ્વારા શિક્ષણના હિમાયતી છે. 

વિજ્ઞાન અને ગણિત: જટિલ વિષયોને પ્રવૃત્તિઓ દ્વારા સરળ બનાવી બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવો એ તેમની ખાસિયત છે. 

જાદુ કલાના પ્રયોગો: 

        બાળકોને આશ્ચર્ય સાથે શિક્ષણ આપવા માટે તેઓ જાદુના પ્રયોગોનો પણ કુશળતાપૂર્વક ઉપયોગ કરે છે. સાથે સાથે ગામડાઓમાં પ્રચલિત અંધશ્રદ્ધાઓને જાદુના ખેલ દ્વારા દૂર કરવાનો પ્રયત્ન કરી દરેકની સાથે જોડાયેલું વિજ્ઞાન છે જેની યોગ્ય સમજ આપે છે. 


 ° સફળતાના શિખરો: 

     એવોર્ડની હેટ્રિક….

      તેમની નિષ્ઠા અને મહેનતની સુવાસ છેક ગાંધીનગર અને ચિત્રકૂટ સુધી પહોંચી છે. છેલ્લા ત્રણ વર્ષમાં તેમને મળેલા સન્માન તેમની શ્રેષ્ઠતાની સાબિતી પૂરી પાડે છે:

વર્ષ ૨૦૨૩: તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ.
વર્ષ ૨૦૨૪: જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ.
વર્ષ ૨૦૨૬: 'ચિત્રકૂટ એવોર્ડ’ 

       ૧૪ જાન્યુઆરી, ૨૦૨૬ના પવિત્ર દિવસે પ્રસિદ્ધ રામકથાકાર પૂજ્ય મોરારીબાપુના હસ્તે 'ચિત્રકૂટ એવોર્ડ' આપીને તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું. પૂજ્ય બાપુના હસ્તે મળેલો આ એવોર્ડ માત્ર યોગેશભાઈ માટે જ નહીં, પણ સમગ્ર અરવલ્લી જિલ્લા અને શિક્ષણ જગત માટે ગૌરવની ક્ષણ છે. 2026નો આ ચિત્રકૂટ એવોર્ડ તેમની સફળતાની હેટ્રિક સમાન છે.


 ° આદર્શ દંપતી અને સહયોગી જીવનસાથી:

    કહેવાય છે કે ' દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે.' યોગેશભાઈના કિસ્સામાં તેમના ધર્મપત્ની શ્રીમતી ભાવનાબેન જોશી તેમના પડછાયા બનીને ઊભા રહ્યા છે. ભાવનાબેન પણ એ જ શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે અને યોગેશભાઈની દરેક શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિમાં ખભેખભા મિલાવીને સાથ આપે છે. આ દંપતી ખરા અર્થમાં 'શિક્ષક દંપતી'નો આદર્શ પૂરો પાડે છે.


° અન્ય સિદ્ધિઓ: 

  શ્રી યોગેશ પંડ્યા, તેઓના વિસ્તારના પ્રસિદ્ધ યોગી છે. દર વર્ષે યોગ દિવસે તેઓના સાનિધ્યમાં આખું મેઘરજ ગામ યોગ કરવા આવે છે.

સાથે સાથે તેઓ એક સારા ક્રિકેટર પણ છે. તેમના જિલ્લાની ટીમમાં તેઓ પૂર્વ કેપ્ટન તરીકે કામ કરતા હતા. તેઓના નેતૃત્વ હેઠળ અનેક વખત ટીમ વિજેતા બનેલ છે.

      શિક્ષણ ક્ષેત્રે તેઓએ ચાલુ વર્ષે ચિલ્ડ્રન યુનિવર્સિટી ખાતે ' ગિજુભાઈ બધેકા અને NET 2020 ‘ વિષય પર રિસર્ચ પેપર રજૂ કરી નૅશનલ કોન્ફરન્સમા ભાગ લીધો હતો. શિક્ષણમાં તેઓએ ક્રિયાત્મક સંશોધનો પણ કર્યા છે.

ભાષા વિષય શિક્ષક તરીકેની તેઓની કાબેલિયતને લીધે તેઓશ્રી આર. પી. ની રાજ્ય કક્ષાની તાલીમોમાં જઈ માસ્ટર ટ્રેનર્સ તૈયાર કરે છે. 

ગીત સંગીતના શોખીન શ્રી યોગેશ પંડ્યાની યુ ટ્યૂબ ચેનલ પર તેઓના અનેક ગીતો ગાયેલા છે. બાળકો સાથે ગાયેલી કવિતાઓ, પ્રાર્થનાઓ અને ભજનો પણ છે. સ્ટાર મેકર પર 6000 કરતાં વધારે ગીતો ગાયેલા છે. 

માતા પિતા તરફથી મળેલ ધાર્મિક સંસ્કારોની ગરિમા જાળવી રાખનાર, યોગેશ પંડ્યા મેઘરજ ગામમાં, પોલીસ સ્ટેશન થતી નવરાત્રી દરમિયાન માતાજીની સ્તુતિ અને આરતી ગાન છેલ્લા વીસેક વર્ષથી કરે છે. 


  યોગેશકુમાર પંડ્યાએ પોતાની કર્તવ્યનિષ્ઠાથી બાંઠીવાડા ગામ અને શાળાનું નામ આખા ગુજરાતમાં રોશન કર્યું છે. તેમની આ સફર આવનારા અનેક યુવાન શિક્ષકો માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે. શિક્ષણ પ્રત્યેનું તેમનું આ સમર્પણ અવિરત ચાલતું રહે તેવી અનેક શુભેચ્છાઓ!

શ્રી યોગેશકુમાર પંડ્યાને ચિત્રકૂટ એવોર્ડ બદલ ખૂબ ખૂબ અભિનંદન!

No comments:

Post a Comment