Sunday, 5 September 2021
*क्षमा*
ટીચર બનવાનો ઉમંગ , ખૂબ મજાનાં બાળકો👌🌺🎈 કન્યા શાળા બાકરોલ આણંદ.
Wednesday, 1 September 2021
Congratulations 🌺 વ્રજુ 🌺 આટલું સુંદર વર્ણન ! કેમ કરી શક્યો ? તેનું રાજ જાણો.
Monday, 30 August 2021
માધવ ક્યાં નથી ?
' માધવ ક્યાંય નથી’ કૃતિમાં વ્યક્ત થતું પુરાકલ્પન
‘માધવ ક્યાંય નથી’ નવલકથા હરીન્દ્ર દવે કૃત ૧૯૭૦ માં લખાયેલી છે. અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં કૃષ્ણભક્તિ વહાવનારાઓમાં હરીન્દ્ર દવે આગળની હરોળમાં બેસે છે. તેમની આ નવલકથા એ કૃષ્ણને શોધતા ફરતા નારદની એવી કથા છે જે વાચકને કૃષ્ણવિરહમાં તરબોળ કરી મૂકે છે. સમગ્ર કૃતિમાં નારદની કૃષ્ણની શોધ વર્ણવાઈ છે. કૃષ્ણની શોધ માટે તેની આસપાસના દરેક પાત્રોને જઈજઈને પૂછે છે કૃષ્ણ અહીયાં છે ? પરંતુ કૃષ્ણ અહીયાં છે ? પરતું માધવ ક્યાંય નથી તેમ છતાં સમગ્ર કૃતિમાં માધવ ની સતત હાજરી અનુભવવાય છે. અહીયાં વ્યક્ત થતાં પૂરાકલ્પનને તપાસીએ.
સૌ પ્રથમ નારદ બળારામ પાસે જાય છે બળારામ સમાધિમાં હોય તેમ બેઠા હતા. નારદે તેમના મસ્તક પર હાથ મૂક્યો. તળાવમાં પણ ચેતન ન હતું. ‘બળારામ પોતાના શરીરમાંથી ખસી ગયા લાગે છે.’ નારદ, મનોમન બોલ્યા: ‘બળારામ અત્યારે ક્યાં હશે?’ મૃત્યુ એ સોપો બોલાવી દીધો હતો; કશું જ બચ્યુ ન હતું. નારદે ચમકીને પોતાના હદય પર હાથ મૂકી જોયો! પોતે તો હજી જીવે છે ને? ત્યારપછી એક વૃક્ષની નીચે એક સ્ત્રી બેઠી હતી. તેને નારદે પૂછ્યું : ‘બહેન, તું કોણ છે? અહીં કેમ બેઠી છે? એને કહ્યું, ‘પેલું મોટું ગીધ જેની આંખ ટોચે છે તેની હું પુત્રી છું… પેલાં ચાર ગીધો મળી જેના દેહને માણે છે એની હું બહેન છું અને….. ત્યાં જેનો દેહ ઓળખાય નહિ એવો વરવો થઈને પડ્યો છે એની હું પત્ની છું…. અને મારા ઉદરમાં અત્યારે ઝીણું ઝીણું રુદન કરી રહેલા ન જન્મેલા સંતાનની હું માતા છું….’ નારદે આવી સ્ત્રીને પુછાય કે ન પુછાય એનો વિવેક જાળવ્યા વિના તેમને પૂછ્યું, ‘કૃષ્ણ ક્યાં છે, એ તમને ખબર છે? એ યુવતી ફિક્કું હસી. એ બોલી, ‘કૃષ્ણ અહીં ક્યાંય નથી, આ શબોનાં મૃત્યુમાં પણ કૃષ્ણ નથી, આ જીવતાં ગીધોમાં પણ કૃષ્ણ નથી….
નારદની અકળામણનો પાર ન હતો. પોતે રડી શકતા નથી એનું સૌથી વધુ દુ:ખ નારદ આ ક્ષણે અનુભવી રહયા હતા. પણ પછી તેઓ સ્વસ્થ થઈ જ્યાં કૃષ્ણ હોય તે દિશામાં ચાલવા લાગ્યા. અચાનક તેમની નજર બે માણસો પર પડી. તેમાં જાણે કૃષ્ણનું જ બીજું રૂપ હોય એવો ઉદ્ઘવ હતો, બીજો કૃષ્ણનો સારથિ દારૂક હતો. નારદે પૂછ્યું ‘કૃષ્ણ ક્યાં છે ઉદ્ઘવ? આ બધું શું થઈ ગયું?’ ‘સ્વસ્થ થાઓ દેવર્ષિ, આપણે કૃષ્ણ પાસે જ જઇએ છીએ…. અથવા કહો કે આપણે કૃષ્ણથી દૂર જઈએ છીએ….’ ઉદ્ઘવે કહ્યું. નારદ કશું સમજી શક્યા નહી.’ મારી ઉત્સુકતા હવે વધતી જાય છે. મારી આંખો જેને જીવનભર તલસતી રહી છે એ રૂપથી હવે મને વધારે વખત અળગો ન રાખ, ઉદ્ઘવ ! મને જલદી કૃષ્ણ પાસે લઈ જા…. કૃષ્ણએ હમેશાં એક વાત કહી છે – એ રૂપમાં કૃષ્ણ નથી, કૃષ્ણ વ્રજની ગાયોનાં નેત્રમાં વસે છે, યમુનાના શ્યામ વહેણમાં વસે છે, દ્રારીકાના હદયમાં વસે છે, તમારી વીણાનાં કંપનોમાં વસે છે. જો ત્યાં કૃષ્ણ ના હોય તો એ ક્યાંય નથી! અને ત્યાં કૃષ્ણ હોય તો કૃષ્ણ ન હોય એવું, સ્થાન કોઈ કાળેય કલ્પી શકાય ખરું? જેમ જેમ કૃષ્ણ મીલનનું સ્થળ નજીક આવતું જાય છે. તેમ તેમ ઉદ્ઘવની વાતો કેમે કરી નારદને સમજાતી નથી
ઉદ્ઘવ નારદને સમજાવે છે. ‘નારદ, તમારાં પરિભ્રમણોમાં કૃષ્ણ જીવે છે. તમે કૃષ્ણને જોવા માટે મથુરાના કારાગૃહે ગયા, વૃંદાવનમાં ગયા, ગિરિવ્રજ ગયા, ઇન્દ્ર્પ્રસ્થ ગયા, હસ્તિનાપુર ગયા, દ્રારકા ગયા, કામ્યક વનમાં ઘૂમ્યા. તમારી આ બધી યાત્રામાં કૃષ્ણ હમેશાં જીવતા રહેશે, યુગો પછી પણ કોઈક ભક્ત કે કોઈક કવિ એને યાદ કરશે અને કૃષ્ણની મળવા માટે તમે જે યાતના વેઠી હતી, એ યાતના કૃષ્ણ પાસે માગશે. એ કૃષ્ણની પૂજા કરવા બેસશે ત્યારે નંદ – યશોદાની વેદના, ગોપીનો વિરહ અને નારદના તલસાટનું વરદાન ઝંખશે. ઉદ્ઘવે કહ્યું: ‘દેવર્ષિ, તમારે કૃષ્ણને મળવું છે ને ?’ ‘હા’ નારદે અધીરાઇથી કહ્યું. ‘જુઓ, સામે રહ્યા કૃષ્ણ ! ‘ઉદ્ઘવે આંગળી ચીંધી. નારદે એ દિશામાં ર્દ્ષ્ટિ કરી. અશ્ર્વત્થની નીચે એક માટીનો ઓટલો હતો. તેના પર કૃષ્ણ બેઠા હતા, એમનો એક પગ ભૂમિને સ્પર્શતો હતો, બીજો પગ વાળેલો હતો. દૂરથી જોતા, તેમનાં નેત્રો મીંચાયેલા હોય એમ લાગતું હતું અને કોઈક ચમકતી લકીર કૃષ્ણના દર્શનની વચ્ચે અવરધો રચતી હોય એવું લાગતું હતું. નારદ દોડ્યા! એ ચમકતી લકીરના અવરોધને હટાવી દેવા તીવ્રપણે ઝંખતા હતા. કૃષ્ણના હોઠ પર એક મધુર સ્મિત હતું, એમના ચહેરા પર પ્રગાઢ શાંતિ હતી…. જેમ નજીક આવતા ગયા, એમ એ શાંતિનાં સઘન વાતાવરણમાં પ્રવેશી રહ્યા હોય એવો અનુભવ નારદ કરી રહ્યા. કૃષ્ણના ચરણોમાં મસ્તક નમાવી દીધું ત્યારે મસ્તક પર ઉષ્ણ બિંદુઓ પડવાથી નારદે જોયું તો કૃષ્ણના પગની પાનીમાંથી હાથની હથેળી વીંધી હદય સુધી એક ચમકતું બાણ ભોંકાયેલું હતું, અને એમાથી રુધિર ઝમી રહ્યું હતું.
નારદ ચીસ પાડી ઊઠે છે ‘કૃષ્ણ…. કૃષ્ણ…..’ નારદના મનમાં ખળભળાટ મચી ગયો. એમની આંખો સામે, ક્ષણમાં કૃષ્ણનાં બંધ નેત્રો, તો ક્ષણમાં રક્તઝરતું હદય, તો ક્ષણમાં હોઠ પરનું સ્મિત અને વદન પરની પ્રગાઢ શાંતિ નારદ આ સ્વરૂપથી અકળાઈ ઊઠે છે. ઉદ્ઘવનો અવાજ જાણે યુગોની પારથી સંભળાતો હોય એમ તૂટક તૂટક સંભળાતો હતો: ‘નારદ કૃષ્ણ તમારાં પરિભ્રમણોમાં જીવે છે. યુગોયુગો પછી ભક્તો અને કવિઓ કૃષ્ણ ને રાધાના વિરહમાં શોધશે, યશોદાના વહાલમાં શોધશે, દેવકીની વત્સલતામાં શોધશે અને એથીય વધારે તો તમારી હદયવીણાનાં સ્પંદનોમાં શોધશે.
આમ સમગ્ર કૃતિમાં નારદની કૃષ્ણશોધ વર્ણવાઇ છે, જે હકીકતમાં આપણા યુગના પ્રત્યેક માનવીની કૃષ્ણશોધ બની રહે છે. પુરાકલ્પનનો આવો સરળ રીતે થયેલો છતાં ધ્વનિમય ઉપયોગ ધ્યાન ખેંચે છે. દરેક સંવાદમાં વાચકને એમ થશે કે હમણાં કૃષ્ણદર્શન થશે પણ પછી તરત જ કૃષ્ણ ત્યાં નથી એવું જાણવા મળે છે. કૃષ્ણ ક્યાંય નથી છતાં બધે જ છે એવું સમજાય છે. નારદ કૃષ્ણને બધે જ શોધે છે પરતું દરેક જગ્યાએ કૃષ્ણનો મેળાપ થતા થતા રહી જાય છે. ‘માધવ ક્યાંય નથી’ કૃતિમાં હરીન્દ્ર દવેએ કૃષ્ણના પાત્રને પુરકલ્પનની રીતે યોગ્ય નિરૂપ્યું છે. અને કૃષ્ણની આસપાસની દરેક વ્યક્તિને નારદ મળે છે અને કૃષ્ણ વિશે પૂછે છે ત્યારે નારદને ‘અહીયાં નથી ત્યાં છે’ એવો જવાબ મળે છે. અને નકારમાં હકાર સૂચવાય છે. હરીન્દ્ર દવેનું આ જ ભાવને વ્યક્ત કરતું એક ઉર્મિગાન “માધવ ક્યાંય નથી મધુવનમાં !”. કાવ્યની પંક્તિ જોઈએ.
“માધવ ક્યાંય નથી મધુવનમાં !
માધવ ક્યાંય નથી મધુવનમાં !
ફૂલ કહે ભમરાને, ભમરો વહે ગુંજનમાં….. માધવ ક્યાંય નથી.”
અહીં ફૂલ ભમરાને કહે છે અને ભમરો તેના ગુંજનમાં કહે છે કે માધવ ક્યાંય નથી મધુવનમાં ફૂલ અને ભમરાના સંવાદનું સુંદર ચિત્ર આલેખાયું છે. આખી કવિતામાં કાવ્યમાં આવતાં પાત્રો ઢ્રારા કૃષ્ણવિરહની વેદના પ્રગટ થાય છે. કૃષ્ણ વિરહનું આ ગાન ખરેખર તો સ્મૃતિદંશની વેદનાનું કાવ્ય છે. પરંતુ છેલ્લે કહેવાનું મન થાય છે કે આટઆટલા પડઘા પાડતી “માધવ ક્યાંય નથી” વાળી વાત એ રીતે રજૂ થઈ કે માધવ ન હોવાની વેદના ચારે બાજુ ફેલાઇ જઈને માધવની સતત હાજરીનો અનુભવ કરાવી જાય છે !
આવું જ આપણી કૃતિમાં માધવનું કેન્દ્ર સ્થાન છે. સમગ્ર કૃતિમાં કૃષ્ણ ક્યાંય નથી . નારદ દ્વારા તેની શોધ કરાઈ છે ઉદ્ઘવ કહે છે કે કૃષ્ણ દરેક જગ્યાએ છે રાધાના વિરહમાં , યશોદાના વહાલમાં , દેવકીની વાત્સલ્યમાં અને એથીય વધારે તમારી હદયવીણનાં સ્પદનોમાં આમ કૃષ્ણ ન હોવા છતાં તેની સતત હાજરી નો અનુભવ થાય છે અને એટલે જ કહેવું પડે છે કે આ કૃતિનું કેન્દ્ર જાણે “માધવ ક્યાંય નથી !” માંથી ખસીને “માધવ ક્યાં નથી !!” એવું બોલાવી દે છે.
Tuesday, 3 August 2021
osho
Saturday, 31 July 2021
આખા ગામમાં પાની પાની.
હું તો ખૂબ જ નાની હતી. વરસાદમાં પાણી ભરાયા હોય ત્યાં તો બરાબર ચાલતાં પણ ન ફાવે. એવે સમયે રજાના દિવસે પપ્પા મને ઊંચકીને વરસાદ જોવા અને ગામની વાત્રક નદી પર બાંધેલા પુલ પર પાણી જોવા લઈ જતાં.
હજુ પણ મને એ ખબર નહીં, પરંતુ અમારાં ત્રણેય ભાઈ બહેનમાં, પપ્પા મને જ પાણી જોવા લઈ જતાં. પપ્પાને હું ખૂબ જ વહાલી. આમ પણ દીકરી બાપને વધારે વહાલી હોય જ.
પપ્પા વરસાદ જોવા લઈ જાય. હાથમાં કાળા કલરની મોટી છત્રી, પગે ચોમાસાના ચંપલ પહેરીને અને શર્ટની નીચે લેંઘો પહેરે જે ઊંચે ઢીંચણ નીચે સુધી વાળેલો રાખે. અને ચાલતાં નીકળી પડીએ. ઘણાં વર્ષો પહેલાં ટુ વ્હીલર પણ ઓછા. પપ્પાને એક સાઇકલ હતી, તેનો પણ ઓછો ઉપયોગ કરે.
રસ્તામાં વાતો કરતાં કરતાં જઈએ. ચાલુ વરસાદ હોય. કોટનના કાળા કાપડની છત્રીમાંથી ક્યારેક વધારે વરસાદ પડતો હોય તો, ઝીણાં ઝીણાં છાંટા છત્રીમાંથી અમને પલાળે. પપ્પા ઉપર આકાશમાં વાદળ બતાવે જેને લીધે અંધારું છવાયેલું હોય, નીચે તરફ ગંદુ પાણી વહ્યું જતું હોય તે ડહોરીને જવાનું, ક્યારેક વરસાદ સાથે જોરદાર પવન ફૂંકાતો હોય અને વૃક્ષો અને તેની ડાળખીઓ પવનમાં વીંઝાતા હોય, કેટલીક જગ્યાએ તો વૃક્ષો પડી ગયા હોય, નદી નાળાં પાણીથી ભરાઈ ગયા હોય જેમાં પપ્પા માછલી અને મગર બતાવે. પુલ પરથી ઊભાં રહીને ધસમસતી નદી વહેતી જોવાનો અનેરો આનંદ સાથે ઊંચેથી પાણી જોવાનો ડર પણ લાગે. પણ પપ્પા સાથે હોય એટલે આપણે બાદશાહ ! કદી પોતે ડરે નહીં અને ડરવાની તો વાત જ નહીં.
પપ્પાએ મને ઊંચકી હોય, સાથે છત્રી પણ પકડી હોય. બધે ખૂબ પાણી ભરાયાં હોય અને તેમાં ચાલતાં ચાલતાં જવાનું હોય. છતાં પણ હું ને પપ્પા ખૂશ જ ખૂશ. પપ્પા ચાલતાં ચાલતાં મારી સાથે ખૂબ વાતો કરી. બધુ અવનવું બતાવે. અને ક્યારેક તો ગીતો ગાતા ગાતા મને લઈ જાય. અને એ ગીત કેવું ? વરસાદી ગીત અને એ પણ પપ્પાનું સ્વરચિત. પપ્પા ગાય અને હું ગાઉં.
હું ને મારા પપ્પા : અમારું વર્ષાગીત.
" પપ્પા : બેટા ! આખા ગામમાં .....
હું : અછાદ અછાદ ...( વરસાદ વરસાદ )
પપ્પા : આખા ગામમાં
હું : પાની પાની ( પાણી પાણી )
પપ્પા : આખા ગામમાં ...
હું : તાદવ તાદવ. ( કાદવ કાદવ )
પપ્પા : આખા ગામમાં...
હું : તિચડ તિચડ. " ( કિચડ કિચડ )
અમે આ ગીત અવશ્ય ગાતાં. ખબર નહીં, ક્યારે મને આ શીખવ્યું હશે. પણ મને આ રીતે વરસાદમાં ગાવાની ખૂબ જ મજા આવતી. હજૂ પણ એ બાળપણના દિવસો યાદ આવે છે. એ ચોમાસું, એ છત્રી, એ રસ્તા, રોડ પરનું ગંદુ ડહોળાયેલું પાણી, એ ગાંડતુર બનેલી વાત્રક નદી, નદી ઉપરનો પુલ, અને ખાસ તો ..એ ગીત.
