Friday, 13 October 2023

સંન્યાસમાં પૂર્ણતા અને શરણાગતિ દ્વારા યોગ.


સંન્યાસમાં પૂર્ણતા અને શરણાગતિ દ્વારા યોગ


ભગવદ્દ ગીતાનો અંતિમ અધ્યાય સૌથી દીર્ઘતમ છે અને તેમાં અનેક વિષયોને આવરી લેવામાં આવ્યા છે. અર્જુન ત્યાગના વિષયનો પ્રારંભ સંન્યાસ (ક્રિયાઓનો ત્યાગ) તથા ત્યાગ (ઈચ્છાઓનો ત્યાગ), સંસ્કૃતના આ સામાન્યત: ઉપયોગમાં લેવાતા બે શબ્દો અંગેના પ્રશ્ન દ્વારા કરે છે. આ બંને શબ્દો “પરિત્યાગ કરવો” એ અર્થ ધરાવતા મૂળ શબ્દો પરથી આવ્યા છે. સંન્યાસી એ છે કે જે પારિવારિક જીવનમાં ભાગ લેતો નથી તથા સાધના (આધ્યાત્મિક અનુશાસન) ના અર્થે સમાજમાંથી વિરક્ત થઇ જાય છે. ત્યાગી એ છે કે જે પ્રવૃત્તિઓમાં વ્યસ્ત તો રહે છે પરંતુ તે કર્મોના ફળનો આનંદ માણવા અંગેની સ્વાર્થી કામનાઓને ત્યાગી દે છે (ગીતાના શબ્દનો આ સૂચિતાર્થ છે). શ્રીકૃષ્ણ બીજા પ્રકારના ત્યાગ અંગે ભલામણ કરે છે. તેઓ શિખામણ આપે છે કે બલિદાન, દાન, તપસ્યા તથા અન્ય ઉત્તરદાયિત્વના કર્મોનો કદાપિ ત્યાગ કરવો જોઈએ નહીં, કારણ કે તેઓ જ્ઞાનીને પણ શુદ્ધ કરે છે. બલ્કે, કેવળ ઉત્તરદાયિત્ત્વની દૃષ્ટિએ તેનું પાલન કરવું જોઈએ, કારણ કે કર્મોના ફળો પ્રત્યેની આસક્તિ રહિત થઈને તે કરવા આવશ્યક છે.

શ્રીકૃષ્ણ કર્મોને પ્રેરિત કરતા ત્રણ પરિબળો, કર્મોના ત્રણ ઘટકો તથા કર્મોના ફળોમાં યોગદાન આપતા પાંચ પરિબળોનું વિસ્તૃત વિશ્લેષણ કરે છે. તેઓ આ પ્રત્યેકનું ત્રણ ગુણોના સંદર્ભમાં વર્ણન કરે છે. તેઓ પ્રસ્થાપિત કરે છે કે જેઓ અપર્યાપ્ત જ્ઞાન ધરાવે છે, તેઓ પોતાને કેવળ તેમના કર્મોના એકમાત્ર કારણ તરીકે જોવે છે. પરંતુ પ્રબુદ્ધ જીવાત્માઓ, વિશુદ્ધ બુદ્ધિ સાથે, પોતાને ન તો તેમના કર્મોના કર્તા માને છે કે ન તો કર્મોના ભોક્તા માને છે. તેઓ જે કંઈ કરે છે, તેના ફળોથી સદૈવ અનાસક્ત રહીને તેઓ કાર્મિક પ્રતિભાવોથી બંધાતા નથી. પશ્ચાત્ આ અધ્યાય સ્પષ્ટ કરે છે કે શા માટે લોકો તેમના ઉદ્દેશ્ય અને પ્રવૃત્તિઓમાં ભિન્નતા ધરાવે છે. માયિક પ્રકૃતિના ત્રણ ગુણો અનુસાર, તે જ્ઞાનનાં પ્રકારો, કર્મોનાં પ્રકારો તથા કર્તાઓની શ્રેણીઓનું વર્ણન કરે છે. પશ્ચાત્ તે બુદ્ધિ, સંકલ્પ અને આનંદ માટે સમાન વિશ્લેષણ પ્રસ્તુત કરે છે. તત્પશ્ચાત્ આ અધ્યાય એવા લોકોનું ચિત્રણ કરે છે કે જેમણે આધ્યાત્મિક જીવનમાં પૂર્ણતા પ્રાપ્ત કરી છે તથા બ્રહ્મ-સાક્ષાત્કારમાં સ્થિત રહે છે. તેઓ ઉમેરે છે કે આવા પૂર્ણ યોગીઓ પણ તેમની અનુભૂતિમાં પૂર્ણતાનો અનુભવ ભક્તિમાં લીન થઈને કરે છે. આ પ્રમાણે, પરમ દિવ્ય પરમાત્માનું રહસ્ય કેવળ પ્રેમા-ભક્તિ દ્વારા જાણી શકાય છે.


શ્રીકૃષ્ણ અર્જુનને યાદ અપાવે છે કે ભગવાન સર્વ જીવોના હૃદયમાં નિવાસ કરે છે અને તેમના કર્મો અનુસાર તેમના ભ્રમણનું નિર્દેશન કરે છે. જો આપણે તેમનું સ્મરણ કરીને આપણા સર્વ કર્મો તેમને સમર્પિત કરી દઈએ, તેમનું શરણ ગ્રહણ કરીને તેમને આપણા પરમ ધ્યેય બનાવીએ તો તેમની કૃપા દ્વારા આપણે સર્વ વિઘ્નો તથા મુશ્કેલીઓને પાર કરી જઈશું. પરંતુ, જો અહંકારથી પ્રેરાઈને, આપણે આપણા તરંગો પ્રમાણે કર્મ કરીશું, તો આપણને સફળતા પ્રાપ્ત થશે નહીં. અંતત: શ્રીકૃષ્ણ પ્રગટ કરે છે કે સર્વ પ્રકારની ધાર્મિકતાનો ત્યાગ કરવો અને કેવળ ભગવાનને શરણાગત થવું એ અતિ ગોપનીય જ્ઞાન છે. પરંતુ, આ જ્ઞાન જે લોકો સંયમી કે સમર્પિત નથી, તેઓને પ્રદાન કરવું જોઈએ નહીં કારણ કે તેઓ તેનું ખોટું અર્થઘટન કરે છે અને બેજવાબદારીપૂર્વક કર્મોનો ત્યાગ કરવા માટે તેનો ગેરઉપયોગ કરે છે. પરંતુ જો આપણે આ ગોપનીય જ્ઞાનને સુપાત્ર જીવાત્માઓ સમક્ષ પ્રસ્તુત કરીશું, તો તે પ્રેમનું મહાનતમ કર્મ છે અને તે ભગવાનને અતિ પ્રસન્ન-કારક છે.

અર્જુન શ્રીકૃષ્ણને જણાવે છે કે તેનો ભ્રમ દૂર થયો છે તથા તે આદેશ અનુસાર કર્મ કરવા માટે તૈયાર છે. અંતમાં, સંજય કે જે આ સંવાદનું વર્ણન અંધ રાજા ધૃતરાષ્ટ્ર પાસે કરી રહ્યા છે, તેઓ નોંધપૂર્વક જણાવે છે કે આ દિવ્ય સંવાદનું શ્રવણ કરીને તેઓ કેટલા વિસ્મિત અને આશ્ચર્યચક્તિ છે. જયારે તેઓ આ પવિત્ર સંવાદ અને ભગવાનના પ્રચંડ વૈશ્વિક રૂપને યાદ કરે છે ત્યારે પરમાનંદના ભાવાવેશમાં તેમના રૂંવાડાં ઉભા થઇ જાય છે. તેઓ એક પ્રગાઢ ઘોષણા સાથે ઉપસંહાર કરે છે કે વિજયશ્રી તેમજ શુભતા, સર્વોપરિતા અને ઐશ્વર્ય સદૈવ ભગવાન તથા તેમના વિશુદ્ધ ભક્તના પક્ષે જ રહેશે કારણ કે સદૈવ પૂર્ણ સત્યના પ્રકાશ દ્વારા અસત્યના અંધકારનો નાશ થશે.

No comments:

Post a Comment