Tuesday, 28 November 2023

પરમાત્માની પાઠશાળા 🏞️ - પ્રકૃતિની પાઠશાળા - એક અનોખી શાળા. 🥀🌳🏫 બાંઠીવાડા પ્રા. શાળા, મેઘરજ, અરવલ્લી.



શું કહી શકાય ?

પરમાત્માની પાઠશાળા!
દેવાલય!
શિવાલય!
ગુરુકુળ!
તપોભૂમિ!
શાળા!
નિશાળ!
સરસ્વતી માતાનું મંદિર!
ગામનું ઘરેણું!
બાળ સંસ્કાર કેન્દ્ર!
મનગમતી નિશાળ!

    એક અનોખી શાળા. હા, કયું નામ બંધ બેસે? કદાચ ઉપર જણાવેલ બધાં જ. પણ શરૂઆત શા માટે પરમાત્માની પાઠશાળાથી કરી ? આ તપોભૂમિ વિષે આગળ વધુ , એ પહેલાં શાળાનું નામ જણાવી દઉં. શાળાનું નામ છે - બાંઠીવાડા પ્રા. શાળા, મેઘરજ, અરવલ્લી. તો હા, પરમેશ્વરની પાઠશાળા !! શા માટે શરૂઆત ત્યાંથી કરી ? પરમેશ્વરની પાઠશાળા કઈ? મા પ્રકૃતિ. મા પ્રકૃતિની ગોદમાં રહીને આપણે ઘણું બધું શીખી શકીએ છીએ. પ્રકૃતિ તમામ આપણને કંઈકને કંઈક શીખવે છે.પરમાત્માની એક અદભૂત પાઠશાળા છે જે દ્વારા પ્રત્યેક ક્ષણ પરમાત્મા આપણને જીવન જીવવાની કળા કે જીવનના યથાર્થ પદાર્થપાઠ શીખવે છે. 


      અહીંનું પ્રાકૃતિક સૌંદર્ય એક વાર જોયા પછી નજર આગળથી ખસે નહીં તેવુ. મા પ્રકૃતિની કૃપા તો ખરી જ સાથે સાથે મા નર્મદાના નીર શાળાનાં બાળકોને પોષે છે. સુંદર મજાના ખીલેલાં બાગ, પુષ્પો, વનરાઈ અને વૃક્ષોનાં સાનિધ્યમાં જ્યારે શાળાનાં જીવંત ફૂલડાં સમાં બાળકો પ્રાથમિક શિક્ષણ મેળવે છે જે જ્ઞાન ચિરંજીવી જ રહે! અહીં ગુરુજનો પણ ખૂબ મહેનતુ, ઉત્સાહી, ખંતીલા અને બાળ માનસના જ્ઞાતા હોઈ બાળકોના સર્વાંગી વિકાસમાં કંઈ ન ઘટે!!! 


   દેવ દિવાળીની રાત્રીએ શાળાનાં પટાંગણમાં પ્રવેશતાં જ આ ઊર્જાન્વિત ભૂમિનું આકર્ષણ જણાયુ. આખી શાળા અંધારામાં જોઈ પણ દિવસે જોવાની લાલચ રોકી શકાઈ નહીં. અને ભાઈ - ભાભી ( શ્રી યોગેશ પંડ્યા - શ્રી ભાવના પંડ્યા ) એ કે જેઓના માટે આ શાળા પ્રાણ સમાન છે. આ શિક્ષક દંપતિ - ગુરુ યુગલ શાળાનાં અને શાળાનાં વિકાસ માટે અથાક મહેનત કરી રહ્યા છે. શાળાનાં ઉત્સાહી આચાર્ય શ્રીસચીનભાઈનો સતત સહકાર અને માર્ગદર્શન થકી શાળા એક આદર્શ ગુરુકુળથી કમ નથી. શાળાનાં તમામ શિક્ષકો અને બાળકોના પરિશ્રમથી શાળા નંદનવન બની છે. 


   બીજા દિવસે ભાઈશ્રી યોગેશ પંડ્યા, અમને લઈને ફરીથી શાળાએ આવ્યા. ચારેય બાજુથી શાળાનાં દર્શન કરતાં આત્માએ અનેરો આનંદ અનુભવ્યો. હ્રુદય કૃત કૃત્ય થયું. આ પવિત્ર ભૂમિમાં કામ કરનારા તમામ ગુરુજનોને મનોમન વંદન કર્યા. શાળાનાં વર્ગખંડની મુલાકાત લીધી. ખૂબ જ સંતોષ અને આનંદ થયો. 


    2002-2003 માં આ શાળામાં માનનીય , યશસ્વી મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ, શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ પ્રસંગે પધાર્યા હતાં કે જેઓ હાલનાં પ્રધાનમંત્રી છે, તેમણે શાળામાં સીસમના વૃક્ષનું વૃક્ષારોપણ કરેલું. આ સીસમ વૃક્ષ ખૂબ ફૂલ્યું ફાલ્યું છે. ખૂબ આનંદ થયો શ્રી મોદી સાહેબે વાવેલાં, આ સીસમના વૃક્ષનાં દર્શન કરીને. 


   એવું કહેવાય છે કે, એક બીલીપત્ર વૃક્ષ જ્યાં હોય તે સ્થળ શિવાલય કહેવાય. અહીં શાળામાં એક નહીં પરંતુ અગિયાર અગિયાર બીલીના વૃક્ષો છે. સાક્ષાત શિવની આણ અહીં વર્તાઈ. અને માટે જ શિવાલય - દેવાલય પણ કહી શકાય. 




       અંતે, હું ખાસ જે કામ માટે આવી હતી તે, પ્રાણાયામ અને ધ્યાન!!! મનમોહક સવારનું વાતાવરણ. પ્રાણાયામ દ્વારા,,,,, “ ભરી ભરીને સવાર પીધી”. સૂર્યના કૂણાં તડકામાં બેસીને સોના જેવી સવારમાં થોડીવાર ધ્યાન કર્યુ. ધ્યાન માટે સંપૂર્ણ અનુકૂળ વાતાવરણ હતું. ઊર્જાન્વિત પર્યાવરણ, હકારાત્મક વાઈબ્રેશન ઠંડી ઠંડી હવા સાથે દોડીને આવે અને મનને ઠંડક અને પ્રેરણા આપી જાય. પંખીઓનો મીઠો કલરવ જાણે કંઇક કહેવા મથતો લાગ્યો. ફૂલોની મહેકે સમગ્ર વાતાવરણને મઘમઘતી કરી દીધેલું. ખુલ્લાં ઘાસનાં મેદાનોમાં ઝાકળનાં મોતી સૂર્યનાં કિરણો પડવાથી ટમટમી રહ્યાં હતાં. પ્રકૃતિ તમામનું અફાટ સૌંદર્ય પથરાયેલું હતું. આવા મનપસંદ વાતાવરણમાં બેસીને મનપસંદ કામ કરવાનો મોકો મળ્યો,  તે માટે પ્રકૃતિને ધન્યવાદ કરી અંતે મંગલ મૈત્રીની પ્રાર્થના દ્રારા ફૂલો, વૃક્ષો, ઘાસ અને તમામ પ્રકૃતિને મૈત્રીનાં તરંગોથી તરબોળ કર્યા. 
 સાથે સાથે શાળાનાં બાળકોને તથા સ્ટાફને ખૂબ મંગલકામનાઓ સાથે કાર્ય કરવાની શક્તિ આપે. સૌનું મંગલ થાય, તેવી પ્રાર્થના કરી.



અસ્તુ
જય હિંદ - જય ભારત,
જય શિક્ષક - જય બાળક,
જય શાળા - જય મા પ્રકૃતિ.

સબકા મંગલ હો....🙏🌺🙏

જાગૃતિ પંડ્યા ' શિવોહમ્ ' ,
આણંદ.








      



Sunday, 12 November 2023

પરમ તત્વને પામવાનો પ્રયાસ અખંડ રાખો.


પરમ તત્વને પામવાનો પ્રયાસ અખંડ રાખો.
 
 ઈશ્વરને પામવા પ્રાર્થના, પૂજા - અર્ચના, ઘ્યાન હોંશે હોંશે શરુ કરી દઈએ છીએ.ક્યાં સુઘી આપણો પ્રયાસ ચાલુ રહે છે? આપણે જાણીએ છીએ. કોઈ વિરલા જ અંત સુધી સમર્પિત થઈ જાય છે. માટે જ કહ્યું છે કે, " હરિનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જોને." એક વાત મારા વાંચવામાં આવી હતી તે જોઈએ.
એક વખત સ્વામી વિવેકાનંદે સ્વામી તુરીયાનંદને કહ્યું, ‘શું ઈશ્વર શાકભાજી જેવા છે કે તેમને કોઈ વસ્તુના બદલે ખરીદી શકાય?’ શું તમે ઈશ્વરને ખરીદી શકો છો? એમ કદાપિ ન થઈ શકે. તમારે કઠિન સાધના કરવી પડશે. યાદ રાખો કે સાધના અને સિદ્ધિ વચ્ચે ત્રિરાશિના નિયમનો સંબંધ નથી. આપણા હૃદયની બધી જ શક્તિ ઈશ્વર તરફ અભિપ્રેરિત થવી જોઈએ. આપણે તેમના માટે સર્વસ્વનો ત્યાગ કરવા તત્પર રહેવું જોઈએ. શ્રીરામકૃષ્ણદેવનું એક ઉદાહરણ લઈએ. સમુદ્ર વચ્ચે ચાલતાં એક વહાણના કૂવાથંભ પર બેઠેલું પક્ષી કિનારે પહોંચવા માટે વારંવાર અલગ અલગ દિશાઓમાં ઊડતું રહે છે, પરંતુ અંતે એ થાકીને આરામ કરવા માટે છેવટે કૂવાથંભ પર જ પાછું ફરે છે. અને જ્યારે વહાણ બંદર પર પહોંચે છે ત્યારે તે અનાયાસ જ કિનારે પહોંચી જાય છે. તે પક્ષીની જેમ આપણે પણ યથાશક્તિ પ્રયત્નો કરી એ અનુભવ કરી લેવો જોઈએ કે તમામ પ્રયત્નો કરવા છતાં પણ આપણે નિષ્ફળ રહ્યા છીએ. એટલે સમજો કે, સાધના પાંખોને થકાવવા માટે આવશ્યક છે અને તેનાથી આપણો અહં સંપૂર્ણપણે નષ્ટ થઈ જવો જોઈએ. સંતાકૂકડીની રમત રમાડીને ઈશ્વર આપણા અહંકારનો નાશ કરે છે. સામાન્ય રીતે આપણે આપણા અધિકાર અને સામર્થ્યની વાત વિચારતા હોઈએ છીએ, આપણે વિચારીએ છીએ કે આપણે કંઈક કરવું જોઈએ, આપણે કહીએ છીએ કે આપણે આ કરી શકીએ છીએ, પેલું કરી શકીએ છીએ તથા ઈશ્વરને પોતાના પ્રયત્નોથી પ્રાપ્ત કરી શકીએ છીએ. તેનું કારણ એ છે કે આપણે સંસારમાં પોતાના અનુભવ અને અહંભાવથી ઘણી વસ્તુઓ પ્રાપ્ત કરી લઈએ છીએ, એટલા માટે ઈશ્વરને પણ એ જ રીતે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. પરંતુ આપણે એ સમજી લેવું જોઈએ કે આ બધા પ્રયત્નો આપણા મનને શુદ્ધ કરે છે અને તેને ઈશ્વરાભિમુખ બનાવી રાખવામાં મદદ કરે છે. એટલા માટે એ જરૂરી છે. જો તમે પોતાને સાધનામાં પ્રવૃત્ત ન કરો તો તમે પૂર્ણ શરણાગતિ પ્રાપ્ત નહીં કરી શકો. આ શરણાગતિ તો ઈશ્વરને મેળવવા માટેના સતત પ્રયાસથી જ આવે છે. જ્યારે મનુષ્ય પોતાના પ્રયાસોની છેવટની સીમાને પણ નિરર્થક સમજી લે છે, ત્યારે તે સમર્પણ કરે છે. આ જ વાસ્તવિક સ્વભાવ છે અને તે સાધનાના અંતે ખંતથી પ્રાપ્ત થાય છે.

મા પોતાના બાળકને રમકડાં આપી દે છે અને જ્યાં સુધી તે બાળક રમતું રહે છે ત્યાં સુધી પોતાનું કામકાજ કરતી રહે છે. જ્યાં સુધી તે રમતું રહે છે કે થોડું રડે છે, ત્યાં સુધી તે બાળક તરફ ધ્યાન નથી આપતી, પરંતુ જે ક્ષણે કોઈ જોખમ આવવાથી તે બાળક જોરથી રડવા લાગે છે ત્યારે મા એકદમ દોડીને તેની પાસે આવી જાય છે. તે જાણતી હોય છે કે બાળકનું રડવાનું બનાવટી છે કે સાચું છે. તે એ જાણતી હોય છે કે પોતે ત્યાં જવું જોઈએ કે નહીં. એ જ પ્રમાણે, જ્યારે ઈશ્વર માટે આપણું રુદન હૃદયમાંથી નીકળતું હોય ત્યારે તેઓ સાંભળે છે. આનો અર્થ એ છે કે આપણી સમગ્ર શક્તિ ઈશ્વરપ્રાપ્તિ માટે લગાવી દેવી જોઈએ. જેમ પરીક્ષામાં પાસ થવા માટે તમે તમારી બધી જ શક્તિ લગાવી દો છો, તેમ ઈશ્વરપ્રાપ્તિ માટે પણ સમગ્ર શક્તિ લગાવી દેવી જોઈએ.

મહર્ષિ પતંજલિ યોગસૂત્રોમાં ધ્યાનનાં ત્રણ લક્ષણોની ચર્ચા કરે છે: 

' દીર્ઘકાલ - નિરંતર - સત્કારાસેવિત: ' દીર્ઘકાલ નો અર્થ છે: લાંબા સમય સુધી. નિરંતરનો અર્થ છે : બધો વખત, સતત. અર્થ એ છે કે નિયત સમયે અભ્યાસ કરવાની સાથે સાથે મનને નિરંતર ઈશ્વરમાં જોડી રાખવું જોઈએ. કોઈ નક્કી કરેલા સમયે જ ઈશ્વરનું નિયમિત ધ્યાન કરવા માત્રથી તે શક્ય નહીં બને, પરંતુ મનના એક ભાગને હંમેશાં ઈશ્વરમાં સ્થિત કરવું પડશે. ત્રીજું લક્ષણ છે: સત્કાર. સત્કાર એટલે કે તત્પરતા. કંઈ પણ દેખાડો ન હોવો જોઈએ; જે કંઈ કરો, તે તેમના પ્રતિ પૂર્ણશ્રધ્ધાથી કરવું જોઈએ. સફળતા માટે દીર્ઘ, નિરંતર અને નિષ્કપટ અભ્યાસ આવશ્યક છે.

જ્યારે મનુષ્યના પ્રયાસોની છેવટની સીમાને પણ નિરર્થક સમજી લે છે ત્યારે તે સમર્પિત થઈ જાય છે.

જાગૃતિ પંડ્યા, આણંદ.