નાની મારી વાત : સસલીબેનનું ગૌરીવ્રત
બાળદોસ્તો, આજે હું એક નાની સસ્સીની વાર્તા લઇને આવી છું. તમે સૌ વાંચજો. ખૂબ મઝા આવશે.
સસ્સી આજે તો રૂમઝૂમ રૂમઝૂમ કરતી ચાલે છે, દોડે છે અને કુદે છે. આખુ જંગલ સસ્સીબાઈને જોઈને નવાઈ પામ્યું છે. સસ્સી તો વહેલી સવારે ઉઠીને , સ્નાનાદિ પરવારીને સરસ મજાનાં નવાં નવાં કપડાં પહેરીને મહાદેવજીના મંદિરે પૂજા કરવા જાય છે. હાથમાં પૂજાનો થાળ છે, થાળને સુંદર સજાવ્યો છે. સસ્સીએ નવું ફ્રોક પહેર્યું છે. પગમાં ઝાંઝર, ડોકમાં માળા, કાને બુટ્ટી, નાકે નથણી અને કેડે કંદોરો. "અરે વાહ !!! સસ્સીબેન તો બહુ સરસ દેખાય છે ને ? " જંગલમાં બધાં પ્રાણીઓ વાતો કરે છે. પરંતું સસ્સી ઉતાવળે પૂજાનો થાળ લઈને દોડી જાય છે. બીજાં દિવસે તેનાં મિત્રોએ સસ્સીને પૂજા પછી જવા જ ન દીધી. તેની આજુબાજુ ટોળે વળી ગયાં. બધાં સસ્સીને પૂછવા લાગ્યા, " શું નવીન છે ? અમને બતાવો. અમે તને જવા નહીં દઈએ." સસ્સીએ તેનાં મિત્રોને વાત કરતાં જણાવ્યું કે, " મેં ગૌરીવ્રત કર્યુ છે." ગૌરીવ્રતનું નામ સાંભળતાં બધાં જ પ્રાણીઓ એકીસાથે બોલી ઉઠ્યા, ' ગૌરીવ્રત એટલે શું ? આ વ્રત કેવી રીતે કરવાનું હોય છે ? આવુ વ્રત તો અમે બધાએ પહેલી વખત સાંભળ્યું છે. ' સસ્સી એ જવાબ આપતા કહ્યું, " હા, મારાં વ્હાલાં મિત્રો. તમે આ વ્રત વિષે જાણવા માંગો છો. તો ચાલો હું તમને ગૌરીવ્રત વિશે જણાવું. "
સસ્સીએ ગૌરીવ્રતની વાત શરુ કરતાં કહ્યું કે, " હું થોડા વર્ષો પહેલા એક નગરશેઠના ઘરે રહેતી હતી. નગરશેઠને બે દિકરીઓ હતી - ટીનું અને મીનું. આ બંન્ને બહેનો દર વર્ષે ગૌરીવ્રત કરતી હતી. બસ ત્યારથી હું પણ દર વર્ષે ગૌરીવ્રત કરુ છું. મને આપણાં આ જંગલમાંથી નગરશેઠ લઈ ગયા હતા. ત્યારે હું નાની હતી. મોટી થયાં પછી શેઠે મને અહીં આપણાં જંગલમાં છોડી દીધી. પરંતું હું જંગલમાં આવ્યા પછી પણ ગૌરીવ્રત કરુ છું. મારી બંન્ને સખીઓ - ટીનું અને મીનું , સારો વર અને સારુ ઘર મેળવવા માટે આ વ્રત કરે છે. મારે પણ સારો વર અને ઘર જોઈએ છે, માટે હું આ વ્રત કરુ છું. આ વ્રત અષાઢ સુદ તેરસથી શરુ થાય છે. મોટી છોકરીઓ વ્રત કરે છે તે અગિયારસ ના દિવસથી શરુ થાય છે. ગૌરીવ્રતમાં નાની છોકરીઓ જવારા વાવે છે. મોટી છોકરીઓ મંદિરે જઈને શિવ પાર્વતીની પૂજા કરે છે. આ વ્રત પાંચ દિવસ કરવાનું હોય છે. પાંચ દિવસ મોળું એટલે કે મીઠાં વિનાનું જમવાનું હોય છે અને ઉપવાસ કરવાનો હોય છે. ભૂખ લાગે ત્યારે લીંબુ શરબત, ફળો, દૂધ અને શાકભાજી લેવાનાં હોય છે. છેલ્લા દિવસે જાગરણ કરવાનું હોય છે. છેલ્લા દિવસે જાગરણ કરવાનું હોય છે. પાંચ કે સાત ગૌરીવ્રત કર્યા પછી જયા પાર્વતી વ્રત કરવાનું હોય છે. છોકરીઓ સાસરે જઈને વ્રત ઉજવે છે. કેટલીક છોકરીઓ લગ્ન પહેલાં ઉજવી નાંખે છે. ઉજવણીમાં પાર્વતી માતાને શણગાર કરવાનો હોય છે. જેટલાં વર્ષ કર્યા હોય તેટલી છોકરીઓને જમાડવાનું હોય છે. ગૌરીવ્રતમાં મસ્ત મજાના નવાં નવાં કપડાં પહેરીને સાંજે બાગમાં રમવાની અને ફરવા જવાની મઝા પડે છે.
સસ્સીની વાતો સાંભળીને બધાંને ખૂબ મઝા આવી. બધાએ ગૌરીવ્રત કરવાનું નક્કી કર્યું. સસ્સી બહુ ખુશ ખુશ થઈ ગઈ. કેમકે, સસ્સીને હવે ગૌરીવ્રત કરવા માટેની કંપની મળી ગઈ. આ વર્ષે સસ્સીને ઉપવાસ હોઈ બધાએ સસ્સીને કંપની આપવાનું નક્કી કર્યું. સાથે જમવાનું નક્કી કર્યું. આ દિવસોમાં સસ્સીને મદદ કરવાનું નક્કી કર્યું.
જોયું ને, બાળદોસ્તો! સસ્સીએ ગૌરીવ્રત કર્યુ, તમે કરશો ને ??
જાગૃતિ પંડ્યા
આણંદ.
No comments:
Post a Comment