અપ્પુ હાથી અને પ્યારો પપ્પુ, બંને પાક્કા મિત્રો. હંમેશા સાથે ને સાથે જ. અપ્પુને પાણીમાં રમવું ખૂબ જ ગમે. દરરોજ ગામની પાદરે આવેલી નદીએ ન્હાવા જાય. પરંતું ઠંડીના દિવસોમાં પાણી ઠંડુ હોવાથી તે ઠંડા પાણીમાં નહાવા ન જઈ શકે. ઠંડી ઓછી થાય તેની રાહ જુવે. ફેબ્રુઆરી મહિનો શરૂ થાય ત્યાં સુધીમાં ઠંડીનું જોર ધીરે ધીરે ઘટવા લાગે. હવે અપ્પુ તેનો મિત્ર પપ્પુની રાહ જોઈને બેઠો હોય. ક્યારે પાંચ વાગે અને પપ્પુની શાળા છૂટે. અપ્પુ તો પાંચ વાગે પપ્પુની શાળા બહાર રાહ જોઈને બેઠો હોય. શાળા છૂટયા પછી બંને જણાં સીધાં જ ગામના પાદરે નદી કિનારે ન્હાવા જાય. અગાઉથી જ અપ્પુએ પપ્પુ માટે તાજા ફળો જેમકે, કેળાં, સફરજન, ચીકુ અને કેરી લાવી રાખ્યા હોય. પપ્પુ એકબાજુ દફતર મૂકી હાથ- પગ ધોઈને પહેલાં ફળાહાર કરે. પછી બંને જણાં સાથે નદી કિનારે ન્હાવા જાય. પાણીમાં ખૂબ જ રમત કરે, ગમ્મત કરે અને એકબીજા પર પાણી છાંટીને નવડાવે. બંનેનો આ જ નિત્યક્રમ.
ગુજરાતી મહા મહિનો પૂરો થવાની આરે હતો. રોજના નિત્ય નિયમ મુજબ સાંજે અપ્પુ અને પપ્પુ નદી કિનારે ન્હાવા ગયા. આજે પપ્પુને શાળાએ રજા હતી જેથી મોડે સુધી નદીકિનારે રમવાનું નક્કી કર્યું. સંધ્યા સમય થઈ ગયો હતો. નદીકિનારે આવેલા શિવ મંદિરમાં આરતી થઈ અને ત્યાં ઘણાં બધાં લોકોની ભીડ સવારથી જ હતી. અપ્પુ પણ નાનો હતો, તેણે આવું કદી જોયેલું નહીં. તે પપ્પુને પૂછે છે : " આજે કેમ અહીં આટલી બધી ભીડ છે ? શું છે આજે ? આજે રાત્રે પણ કેમ લોકો જળાભિષેક કરે છે ? આજે રાત્રે પણ કેમ પૂજા થાય છે ? "
પપ્પુએ અપ્પુને સમજાવતાં કહ્યું :" મારા મિત્ર ! આજે મહાશિવરાત્રિનો તહેવાર છે. આજે મહા શિવરાત્રિના તહેવારની અમારી શાળામાં રજા છે. મહા શિવરાત્રિનો તહેવાર મહા વદ ચૌદશના દિવસે આવે છે. આ દિવસે રાત્રિ પૂજનનું ખૂબ જ મહત્ત્વ છે. પપ્પુએ આગળ જણાવતાં કહ્યું કે, આજના દિવસે જો કોઈ વ્યક્તિ જાણે અજાણે પણ આખી રાત જાગરણ કરીને શિવપૂજા કરે છે તેની ઉપર મહાદેવ પ્રસન્ન થાય છે. તેનાં તમામ સંકટો દૂર થાય છે. આજે ચાર પ્રહરની પૂજા કરવાની હોય છે. આજે બધાં ઉપવાસ કરે છે. ફળાહાર કરે છે અને શિવપૂજા કરે છે."
" જો આગળ સાંભળ, મારા દાદાજીએ મને એકવાર મહા શિવરાત્રિની વાર્તા કહેલી તે હું તને આજે ટુંકમાં કહું છું, તો શાંતિથી સાંભળ. એક શિકારી હતો. તે શિકાર કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. એક વખત ની વાત છે, આખો દિવસ શિકારી જંગલમાં ખૂબ ફર્યો; ભૂખ્યો - તરસ્યો ભટક્યો પણ તેને કોઈ જ શિકાર મળ્યો નહીં. સાંજે એક હરણનું બચ્ચું જોઈને તેના પર બાણ ચઢાવ્યું. હરણના બચ્ચાએ વિનંતી કરી કે, હું મારા માતા - પિતાને મળીને આવુ છું. શિકારી હરણના બચ્ચાની રાહ જોઈને આખી રાત જંગલમાં એક ઝાડ પર બેસી રહ્યો. ઝાડનું એક એક પાંદડું તોડી તોડીને નીચે નાખે. એમ કરતાં કરતાં રાત પસાર કરી. સવાર થતાં જ હરણનું બચ્ચું તેનાં માતા પિતા સાથે આવી ગયું. હરણનાં માતા પિતાએ કહ્યું : " અમને પણ મારી નાંખો. અમે અમારાં બાળક વિના કેવી રીતે જીવી શકીશું ?" શિકારીનું મન પીગળી ગયું. તેને તેનાં બાળકો યાદ આવ્યાં અને હથિયાર હેઠે મૂક્યાં. ત્યાં જ સાક્ષાત મહાદેવ પ્રગટ થયા અને શિકારી ઉપર પ્રસન્ન થયા. શિકારીને ખૂબ ખૂબ અભિનંદન અને આશીર્વાદ પાઠવ્યાં અને એક વરદાન માંગવા કહ્યું.
અપ્પુ ! અજાણતાંમાં જ તે શિકારીએ મહા શિવરાત્રીની રાતનું જાગરણ કર્યુ. શિકારી જે ઝાડ પર બેઠો હતો તે બીલીપત્રનું ઝાડ હતું. બીલીના પાન તોડી તોડીને નીચે નાંખતો હતો જ્યાં શિવલિંગ હતું. આ બઘું જ અજાણતાં જ બનેલું. મહાદેવે શિકારીને વરદાન આપ્યું. તેને સુખી કર્યો અને કદી શિકાર નહીં કરવાનું વચન લીધું. હરણના પરિવારને મુકત કર્યો. આમ, આ રીતે મહા શિવરાત્રિનું ખૂબ જ મહત્ત્વ છે.
પપ્પુની વાર્તા સાંભળી અપ્પુ બહુ ખુશ થયો. અપ્પુ એ કહ્યું જો સાંભળ આજે મને સવારથી જ પેટમાં દુઃખતું હતું. મેં કંઈપણ ખાધું નથી. ઉપવાસ કરવાથી અત્યારે મને સારુ છે. હવે આજે રાત્રે પણ હું ફળાહાર કરીશ. ચાલ આપણે બંને શિવ પૂજા કરવા જઈએ. અપ્પુ અને પપ્પુ બંન્ને સ્નાન કરી જળ, બીલીપત્ર, પુષ્પ અને ફળો લઈને મહાદેવની પૂજા કરવા ગયાં. આખી રાત જાગરણ કરી ' ૐ નમ: શિવાય' ના મંત્રજાપ કરી ખુશ થયાં મહાદેવના કૃપાપાત્રી બન્યા.
તો જોયુને બાળકો , મહાશિવરાત્રી પર્વનું મહત્ત્વ ! તો આપણે સૌ પણ આ રીતે મહાદેવને પ્રસન્ન કરીને આપણું તથા આપણાં મિત્રોનું કલ્યાણ કરીએ.