મિત્રો, આજે જ્યારે આખો દેશ એકયાબીજી રીતે આઝાદીના75 વર્ષનીઉજવણી કરે છે ત્યારે મને પણ આપસૌ મિત્રોને જણાવતા આનંદ થાય છે કે... આજનાં દિને આ મારી 75મી રચના છે જેમાં ( 50 બાલવાર્તાઓ અને 25 બાળગીતો) થયાં છે.
કિશન દોડતો આવ્યો અને કનૈયાને કહેવા લાગ્યો, " ભાઈ જો ને આ મારો તિરંગો ! મારે કલર કેમ બહાર નીકળી જાય છે? ટીચરે કહયું છે કે કલર બહાર ન નીકળે તે રીતે જ તિરંગો દોરવો. મને તારા જેવા સરસ કલર પૂરતાં શીખવ ને. "
કનૈયો પણ સરસ મજાનું ઘર અને તેના ઉપર તિરંગો, ઉપર ખુલ્લુ આકાશ, ઘર પાસે ખુલ્લું ખેતર અને ખેતરમાં ઘણાં બધાં ઝાડ - આવું ચિત્ર દોરતો હતો. કિશન અને કનૈયો બંને ભાઈઓ હતા. કનૈયો મોટો અને કિશન નાનો. કનૈયાએ પોતાનું ચિત્ર પૂરું કરીને કિશનને રંગો પૂરતાં શીખવ્યું.
કનૈયાએ સૌ પ્રથમ આખા ચિત્રની બોર્ડર પર કલરો પૂરી દીધા જેથી કરીને દિવાલ જાડી થઈ ગઈ અને કહ્યું હવે અંદર શાંતિથી રંગો ભર. આ રીતે રંગો પૂરતાં સહેજ પણ કલર બહાર ન નીકળ્યા અને ચિત્ર ખૂબ જ સુંદર લાગ્યુ. કિશન ખુશ ખુશ થઈ ગયો.
કનૈયો તેના ચિત્રમાં રંગો પૂરતો હતો અને બંને ભાઈઓ વાતો કરતા હતા. કિશન પહેલા ધોરણમાં અભ્યાસ કરતો હતો અને કનૈયો પાંચમા ધોરણમાં.
કિશને પૂછયું, " ભાઈ દર વર્ષે આપણી શાળામાં સ્વાતંત્ર્ય દિનની આટલી બધી તૈયારીઓ થાય છે? "
કનૈયાએ કહ્યું દર વર્ષે આગલા દિવસે અમે સ્વતંત્ર દિવસની ઉજવણીની તૈયારીઓ કરીએ છીએ પરંતુ આ વર્ષે આપણા દેશને આઝાદી મળે ૭૫ વર્ષ પૂરાં થયાં છે માટે એની ઉજવણીના ભાગરૂપે આખુ વર્ષ નાના મોટા કાર્યક્રમો યોજાયા હતાં અને આ છેલ્લું અઠવાડિયું આપણી શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું."
કિશને પૂછયું, " ભાઈ મને તો આખુ અઠવાડિયું શાળામાં ખૂબ જ મજા પડી. મને આપણા દેશની આઝાદીની વાતો કરને? ગઈકાલે અમારા ટીચરે અમને થોડી વાતો કરી હતી. થોડી વધારે વાતો કરને ! અમને અમારા ટીચરે સ્વાતંત્ર્ય દિન વિષે લખવાનું પણ કહ્યું છે."
જો સાંભળ, કનૈયાએ વાત શરૂ કરી.
" ભારત દેશના સ્વતંત્રતા દિવસ તરીકે ૧૫મી ઓગસ્ટના દિવસને ઉજવવામાં આવે છે. ઇ.સ. ૧૯૪૭નાં વર્ષમાં આ દિવસે અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશ આઝાદ થયો હતો, આથી આઝાદીની લડતમાં સફળતા મળી અને સ્વતંત્રતા હાંસલ કરી તેની ખુશીમાં દર વર્ષે સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસને ભારતભરમાં રાષ્ટ્રીય તહેવાર તરીકે જાહેર કરવામાં આવેલો છે. દેશનાં તમામ કાર્યાલયોમાં આ દિવસે જાહેર રજા આપવામાં આવે છે. આખા દેશમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ (રાજ્ય સરકારો, જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતો) દ્વારા ધ્વજ વંદનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. મુખ્ય સમારંભ નવી દિલ્હીમાં ઉજવવામાં આવે છે જેમાં ભારતના વડાપ્રધાન લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવે છે અને પ્રજાજોગ સંદેશ આપે છે, જેનું ટેલિવિઝન પર જીવંત પ્રસારણ કરવામાં આવે છે. આ સંદેશામાં તેઓ સરકારની પાછલા વર્ષની સિદ્ધિઓ વર્ણવે છે, મહત્ત્વનાં મુદ્દાઓ જણાવે છે અને વધુ પ્રગતિ તથા વિકાસ માટે દેશને પડકાર કરે છે. વડા પ્રધાન આઝાદીની ચળવળનાં નેતાઓને શહિદોને શ્રદ્ધાંજલિ આપે છે અને સ્વાતંત્ર્ય સેનાનિઓને યાદ કરે છે. ભારતની સાંસ્કૃતિક વિવિધતાનું પ્રદર્શન, વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે દેશે કરેલી પ્રગતિ વિગેરેની ઝાંખી, ભારતની શસ્ત્ર તાકાતનું નિદર્શન અને દેશના સુરક્ષા દળોની પરેડ આ ઉજવણીનું અભિન્ન અંગ છે.
અને આ રીતે આ વર્ષે ૧૫ ઓગષ્ટ ૨૦૨૨માં આપણાં દેશને આઝાદી મળ્યે ૭૫ વર્ષ પૂરાં થયાં. જેને ' આઝાદી કા અમૃત મહોત્સવ ' નામથી આપણે સૌ ઊજવણી કરીએ છીએ. આ વર્ષે આપણાં વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દિલ્હીમાં લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે.
આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે આ વર્ષે 'હર ઘર તિરંગા ' નું સૂત્ર આપવામા આવ્યું છે માટે સમગ્ર દેશમાં ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરેેકેદરેક ઘર પર તિરંગો ફરકશે. અને માટે જ આખા દેશમાં ખૂબ જ ધામધૂમથી આજનો દિવસ ઉજવાશે."
કિશન આ બધી વાતો સાંભળી ખુશ ખુશ થઈ ગયો અને કહેવા લાગ્યો, " આપણો આખો દેશ તિરંગાથી કેટલો સરસ દેખાશે ! આપણે છેક ઉપર આકાશ માંથી જોઈએ તો કેવી મઝા પડે! "
બંને ભાઈઓ આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી માટે ખૂબ જ આતુર અને ઉત્સાહિત હતાં. દાદાજીએ કહેલી, શાળામાં ટીચરે કહેલી અને મમ્મી પપ્પાએ કહેલી બધી જ વાતો કનૈયાએ કિશનને કહી. બંનેએ ખૂબ વાતો કરી અને જશોદા બહેને ( કિશન - કનૈયાની મમ્મી એ ) જમવા માટે બૂમ પાડી. બંને ભાઈઓ જમવા દોડી ગયા.
જય હિંદ - જય ભારત
ભારત માતા કી જય
વંદે માતરમ્.
જાગૃતિ પંડ્યા,
આણંદ.